પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૩૭
 


'એ મારા મિત્રોની કૃપા; પરંતુ હું જરા નિરાશા અનુભવી રહ્યો છું.’

‘નિરાશા ? ચારે પાસ તૈયારી થઈ રહી છે અને તમને નિરાશા લાગે છે ?’ તિરસ્કારથી ગૌરધીરે કહ્યું. તેની તિરસ્કારભરી આંખો જોઈ પરાશરને પણ સામો તિરસ્કાર કરવાની વૃત્તિ થઈ આવી. થોડા દિવસ પહેલાં ગોરધીર તેને મળ્યો હોત તો તેને આખો જન્મારો સાંભરે એવો કટાક્ષ તેણે જવાબમાં ભર્યો હતો; પરંતુ તેના જ હડતાલિયાઓએ અંદર અંદર હિંદુમુસ્લિમ ઝઘડો ઊભો કર્યો ત્યારથી તેના હૃદયમાં કોઈ જુદી જ ક્રિયા ચાલી રહી હતી.

‘હું પણ એમ જ માનતો હતો; પરંતુ હવે મને લાગે છે કે આપણે પ્રગતિવાદીઓ - સામ્યવાદીઓ કોઈ મહત્ત્વની ભૂલ કરીએ છીએ.' પરાશરે કહ્યું.

‘સામ્યવાદમાં ભૂલ કાઢનાર સામ્યવાદી નથી જ.’

‘સામ્યવાદમાં નહિ, સામ્યવાદીઓમાં.’

'એ એકનું એક જ છે.'

‘એમ હોય તો સામ્યવાદને પણ કોઈ જગાએ સુધારવો રહ્યો.’

વાદવીર સામ્યવાદીઓ અને સમાજવાદીઓ અંદર અંદર પણ શંકર અને મંડનમિશ્રને શોભે એવી દલીલબાજી કરતાં હોય છે. તત્ત્વત: અંતિમ ભેદ ન હોવા છતાં શબ્દઝઘડા યુદ્ધ પ્રેરે એવા ઉગ્ર બનાવવાનું શિક્ષણ લેવું હોય તો સામ્યવાદી-સમાજવાદી મંડળોની સભા, ઉપસભા કે સ્વાધ્યાયમંડળમાં હાજરી આપવી.

સંયમ શુન્ય, વ્યવસ્થાશૂન્ય, ધ્યેયહીન, પ્રમાદી, ટોળાના આશ્રય હેઠળ વર્ગમાં કે સભામાં તોફાની દેખાવાનો દંભ કરતો ભીરુહૃદય, વિષયાન્ધ યુવક કે વિદ્યાર્થીવર્ગ એ આપણી નવીન બુદ્ધિજન્ય શક્તિનો પ્રતિનિધિ હોય, અને જે બોલે તેને સમજ વગર ટોળાબંધ સાંભળવા તૈયાર થઈ કોઈ અણધાર્યા મુદ્દા ઉપર ઝટ મારામારી કરી ઊઠે એવો કિસાન કે મજદૂર વર્ગ એ આપણા શ્રમજીવનનો પ્રતિનિધિ હોય તો વર્ગવિગ્રહ એ સમાજનો ચિરંજીવી અંશ રહેશે, વર્ગરહિત સમાજ બનાવવાનું ધ્યેય એ સર્વદા સ્વપ્નવત્ બનશે અને સહુને એક લાકડીએ હાંકતી વ્યક્તિ કે વર્ગ શ્રમજીવીઓને ભોગે સર્વસત્તાધીશ બન્યા જ કરશે એમ પરાશરને ભાસ, થવા લાગ્યો હતો.

એને અટકાવવાનો માર્ગ ? કોઈ નવીન રચના - નવીન વ્યૂહ.

રતન શા માટે પરાશરના ભૂખમરા ઉપર આંસુ સારતી હતી ?