પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
 
ફૂલમાં કંટક
 

છેલ્લો પ્રસંગ બની ગયા પછી, હમણાંના રાવબહાદુર તથા યશોદાબહેન ખસૂસ ફરવા જતાં હતાં અને સાથે જ્યોત્સ્ના અને મધુકરને લઈ જતાં હતાં. સંધ્યાકાળે જ્યોત્સ્ના વાંચી લેતી અને સુરેન્દ્ર સાથેનો તેનો અભ્યાસ પૂરો ન થયો હોય તોપણ તે મુલતવી રખાવી જ્યોત્સ્નાને આગ્રહપૂર્વક પોતાની સાથે જ ફરવા લઈ જવાનો શિરસ્તો તેમણે પાડ્યો હતો. શરૂઆતમાં કોઈક વાર મધુકર સાથે આવતો અને કોઈ વાર નહિ, પરંતુ એક અઠવાડિયામાં તો જ્યોત્સ્નાની સાથે મધુકર ફરવા આવે એવો આગ્રહ રાવબહાદુરે રાખ્યો અને રાવબહાદુરના આગ્રહ કરતાં પણ તેમની પત્ની યશોદાબહેન એ આગ્રહને ચીવટાઈપૂર્વક વળગી રહેલાં લાગ્યાં.

એ નિયમ પ્રમાણે રોજની માફક જાહેર બગીચામાં રાવબહાદુરની કાર આવીને ઊભી રહી. જ્યોત્સ્ના, મધુકર, રાવબહાદુર અને યશોદા ચારેય જણ કારમાંથી ઊતર્યાં અને સહજ ટહેલવા લાગ્યાં. વિશાળ બગીચામાં અનેક એકાંત સ્થળો હતાં, એટલે જુગાર રમવાથી માંડી પ્રેમ કરવા સુધીની ક્રિયાઓ માટે બગીચાના એકાંતમાં તક મળતી હતી. સહજ ફરતાં રાવબહાદુરે એક એકાંત બેઠક જોઈ અને યશોદાબહેને પણ ઈચ્છ્યું કે તેઓ વધારે ફરવાને બદલે એ બેઠક ઉપર પોતાના પતિની સાથે બેસી જાય. મધુકર અને જ્યોત્સ્નાને યશોદાબહેને કહ્યું પણ ખરું :

‘અમે તો હવે અહીં બેસીશું. તમારે છોકરાંને ફરવું હોય તો ભલે ઘડીક ફરી લો; હજી અજવાળું છે.’ એમ કહી બેઠક ઉપર યશોદાબહેન બેસી ગયાં, અને વયના વધારા સાથે પત્નીના પડછાયા રૂપ બની જતા અનેક પતિઓની માફક રાવબહાદુર ગિરિજાપ્રસાદ પણ પત્ની સાથે પત્નીને અડકીને બેસી ગયા.

માતાએ ફરવાની આજ્ઞા આપી હોવાથી જ્યોત્સ્ના ઝડપથી ફરવા માટે ચાલી નીકળી અને મધુકરને સાથે આવવાનો ઈશારો પણ ન કર્યો. એટલે જ્યોત્સ્ના ગયા પછી મધુકર તેની પાછળ ધીમે ધીમે આગળ વધ્યો. યશોદાબહેને પતિને કહ્યું :