પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કૂલમાં કંટક : ૯૭
 


‘જોયું ? બંને કેવાં સમજુ છે તે ?’

‘શા ઉપરથી કહ્યું ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘આપણે આ બંનેને ભેગાં ફરવાની આટલી તક આપીએ છીએ તોય બંને છોકરાં આપણી કેવી માઝા રાખે છે ?’

‘એમ ? મને તો લાગ્યું કે જ્યોત્સ્નાને મધુકરની કંઈ પરવા નહિ હોય.’

‘અરે તમે શું જાણો છો. આજનાં છોકરાંને ? દેખાવ તો ગમે તેવો કરે. છતાં… માણસ જાત છે… ભણેલાગણેલા અને સંસ્કારી છે. મારી આંખે તો જ્યોત્સ્ના અને મધુકરની જોડી ઠીક ખૂંપી ગઈ છે.’ યશોદાબહેને કહ્યું.

‘પરંતુ સાંભળ્યા પ્રમાણે મધુકરના બાપની સ્થિતિ બહુ સાધારણ છે.’

‘પરંતુ આપણે મધુકરને જોવો છે કે મધુકરના બાપને ? અને આપણી આસપાસ એવો કયો છોકરો દેખાય છે જે મધુકર કરતાં રૂપે, રંગે અને ભણતરે વધારે સારો હોય ?’ યશોદાબહેને કહ્યું.

‘હા, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. અને આપણો પૈસો, આપણો વૈભવ અને આપણી સંપત્તિ બધું જ્યોત્સ્નાનાં જ છે ને ?… પણ જ્યોત્સ્નાનો સ્પષ્ટ મત આપણે જાણવો પડશે ને ?’

‘એ તો જાણેલો જ છે. જરા વધારે ભેગાં ફરશે એટલે અરસપરસ માયા થઈ જશે.’ યશોદાબહેને કહ્યું. ઘણી બાબતમાં વય વધતાં પત્નીની રબરછાપ બની જતા રાવબહાદુરે સહજ આસપાસ જોયું અને કહ્યું.

‘હા. એ પણ ખરું, યશોદા ! આપણે નાનપણમાં જરા ભેગાં મળ્યાં તો આટલી માયા થઈ ગઈ… હમણાં જ તેં મને પરણતા પહેલાં લખેલો પત્ર મારા વાંચવામાં આવ્યો.’ કહી રાવબહાદુરે પોતાની જુગજૂની છતાં નવી લાગતી સ્નેહસૃષ્ટિ ઊભી કરી.

પાસે બેઠેલાં યશોદાબહેન જરા શરમાઈને રાવબહાદુરને વધારે સ્પષ્ટતાથી અડક્યાં અને છણકાઈને તેમણે જવાબ પણ આપ્યો :

‘શું તમેય નાનપણની વાત કરો છો ? કોઈ સાંભળે તો લાજી મરીએ !’

રાવબહાદુર અને યશોદાની આ વાત કોઈએ સાંભળી નહિ. વયે પહોંચેલાં પતિ-પત્ની અને પ્રેમીઓ પ્રેમવાત બિલકુલ કરતાં જ નથી એમ માનવાની ભૂલ રખે કોઈ કરે. એટલું સાચું કે તેમનું અનુભવી જીવન તેમની પ્રેમવાત કોઈને સાંભળવા દેતું નથી.

એટલામાં જ બેત્રણ પુરુષો અને બેત્રણ સ્ત્રીઓ હસતાં હસતાં