પૃષ્ઠ:Snehashristi.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રપટ: : ૧૦૭
 

‘હૃદય ખોલવા જેવું એકાંત થિયેટરમાં મળે એમ હું માનતી નથી.’

‘તો પછી આપણે એકાદ રેસ્ટોરાં શોધીશું, અજંતા. કિન્નરી કે આમ્રપાલી એ ત્રણમાંથી એકાદ રેસ્ટોરાંમાં આપણે માગીશું એટલું એકાંત આપણને મળશે… અને તારી એમ ઈચ્છા હોય કે આપણે ચિત્રપટમાં ન જઈએ અને ટૅક્સીમાં લાંબે ફરવા જઈએ તો તેમ પણ બને એવું છે. મને શહેર આસપાસનાં ઘણાં એકાંત સ્થળોની માહિતી છે.’ મધુકરે કહ્યું.

‘એની મને ખાતરી જ છે. પરંતુ આજે તું માગે છે એવું એકાંત મને અગર તને મળે એવું લાગતું નથી.’

‘નવાઈ જેવું ! ન મળવાનું કાંઈ કારણ ?’

‘હા. આપણે ચિત્રપટ જોવા સુરેન્દ્ર વગર ઓછાં જઈશું ?’

‘ટૅક્સીમાં જતે જતે આપણે સુરેન્દ્રને ઉપાડી લઈએ છીએ.’

મધુકર જ્યોત્સ્નાનું આ વાક્ય સાંભળી ચમક્યો. એકાંતની આટલી આશા આપી જ્યોત્સ્ના પાછી સુરેન્દ્રને શોધવા જાય છે ?

‘સુરેન્દ્રને લઈ જવો હોય તો પછી મારી જરૂર નથી. હું ચાલ્યો જાઉ.’ મધુકરે જરા ખોટું લગાડી કહ્યું.

‘અરે, ચાલ તો ખરો ! મારે ખાસ કામ છે. એક ચિત્ર જોવું છે, જેમાં તારી અને સુરેન્દ્રની એમ બેની સલાહ લેવી છે.’

કહી બગીચાની બહાર નીકળતાં બરોબર જ્યોત્સ્નાએ એક ટૅક્સી બોલાવી અને મધુકરના વિરોધને ગણકાર્યા વગર તેને ગાડીમાં બેસાડી દીધો અને પોતે પણ સાથે બેસી ગઈ. મધુકર જરૂર મૂંઝવણ અનુભવી રહ્યો. જ્યોત્સ્ના મધુકર સાથે એકાંત ગાળવાની ઇચ્છા રાખતી હતી એ તેની કલ્પના ભ્રમ પુરવાર થઈ. જ્યોત્સ્નાને ચિત્ર તો જોવું છે પણ એને ચિત્રની બાબતમાં કાંઈ સલાહ લેવી છે, અને એ સલાહ મધુકરની એક્લાની નહિ પરંતુ સુરેન્દ્રની પણ સાથે સાથે લેવાની છે ! અને તે સાથે ચિત્ર જોઈને ! જ્યોત્સ્નાનો શો વિચાર હશે ? જ્યોત્સ્નાને સુરેન્દ્ર સાથે જ એકાંત જોઈતું હોત તો તે જોઈએ એટલું મેળવી શકી હોત, અત્યારે પણ. તો પછી તે મધુકર સાથે શા માટે આવી ? ઘણી વાર આપણી ઇચ્છા પ્રમાણે જ દુનિયા ઘડાતી હોય એવું આપણને દેખાયા કરે છે. ચિત્ર જોઈને મધુકરની અને સુરેન્દ્રની પરીક્ષા કરવાનો તો જ્યોત્સ્નાનો હેતુ નહિ હોય ? એમ હોય તો ચિત્રના નાજુક પ્રસંગોની સમજ સુરેન્દ્ર કરતાં મધુકરને પોતાને વધારે પડે એ સંભવિત હતું. જડ સુરેન્દ્ર ભાગ્યે જ ચિત્ર જોતો, અને ઘણી વાર તો ચિત્રની નાજુક ખૂબીઓ તેને સમજાતી પણ નહિ.