પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાથમાં ઊતરતું ફળ :૧૭૩
 

દબાવી રહી હતી ! એનો શો અર્થ ?

ઉપરાંત મધુકરનાં માબાપને પણ જ્યોત્સ્ના આમંત્રણ આપી ગઈ !

કારણ ? જ્યોત્સ્ના બદલાઈને તેની બનતી હતી શું ?

મધુકરનાં પ્રેમપ્રકરણોમાં એનાં માતાપિતાને જરાય સ્થાન મળે એમ એ ઇચ્છતો નહિ. ઉચ્ચ કક્ષાના પ્રેમ-વાતાવરણમાં લેઈ આવવા જેવી માતાપિતાની પાત્રતા પણ ન હતી. વળી માતાનાં લગ્ન કાંઈ પ્રેમલગ્ન કે રોમાંચક લગ્ન હતાં જ નહિ. રૂઢિબદ્ધ ગતાનુગતિક લગ્ન અને જીવન ગુજારનાર માતાપિતાને મધુકરનાં પ્રેમઉડ્ડયનોનો પરચો ન જ હોય… છતાં… જ્યોત્સ્ના મધુકરનો હાથ પકડી ગઈ… ને વધારામાં માતાપિતાને આમંત્રણ આપી ગઈ ! જ્યોત્સ્નાએ લગ્નનો ઝડપી વિચાર તો નહિ કર્યો હોય ? સુરેન્દ્ર જ્યોત્સ્નાના જીવનમાંથી સમૂળ અદૃશ્ય થયો ન હોય ત્યાં સુધી જ્યોત્સ્ના મધુકર સાથે હાથ મિલાવે નહિ જ.

અને માતાપિતાને આમંત્રણ એટલે ? લગ્નની જ સ્પષ્ટતા અને ઉતાવળ ! બીજું શું ?

જ્યોત્સ્નાને એનાં માતાપિતા ભલે ઉચ્ચ શિક્ષણ આપી રહ્યાં હોય; અંતે તો તેઓ જુનવાણી વિચારનાં ખરાં જ ખરાં ! આજ સુધીના રાવબહાદુર તથા યશોદાબહેનના પરિચયે તેને એટલું તો સ્પષ્ટ કરી આપ્યું હતું કે આગળ વધેલાં કહેવાવાની ઇચ્છા રાખનારાં રાવબહાદુર અને યશોદાબહેન તત્વતઃ તો જુનવાણી ઢબનાં જ કહી શકાય. કોઈ પણ કાર્ય કે વસ્તુને આર્યતાનો ઓથ અપાય તો તે તેમને ગ્રાહ્ય બની જતું હતું. આર્યતાથી વીંટાઈને પાપ પણ આવતું હોય તો તે તેમને આવકારપાત્ર લાગે ખરું.

એટલે તેમની જ સમજદાર દીકરી જ્યોત્સ્નાએ તેમના સ્વભાવને સમજીને જ લગ્નમાર્ગ સરળ કરવા માટે મધુકરનાં માતાપિતાને આમંત્રણ આપ્યું હતું એની એને ખાતરી થઈ ગઈ. ઘરમાં પ્રવેશ કરતાં જ માતાને તેણે કહ્યું :

‘મા ! આવતી કાલ તું બહુ સારા સમાચાર સાંભળીશ.’

‘એમ ? શું છે એવું ? આમે તારી નોકરી પછી બધું સારું જ થયે જાય છે ને ?’ માતાએ કહ્યું.

'કાલે રાવબહાદુરને ઘેર તમને બન્નેને ચા માટે આમંત્રણ છે.’ મધુકરે કહ્યું.

‘તે આમંત્રણ તું લાવ્યો ?’ સહજ દૂર હીંચકે બેઠેલા પિતાએ પૂછ્યું.