પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨:સ્નેહસૃષ્ટિ
 

આકારો વધારે સુધર્યા હતા અને આકર્ષક બન્યા હતા. સુરેન્દ્રથી પુછાઈ ગયું :

‘આમાં કાંઈ સામિષ ભોજન તો નથી ને ?’

‘ના જી. છેલ્લાં પચીસ વર્ષથી માનવજાતને માંસાહારને વર્જ્ય કર્યો છે.’

‘કારણ ?’

‘અન્ન મબલખ પાકતું હોય, અન્ન સ્વાદિષ્ટ હોય અને અત્ર પૌષ્ટિક હોય પછી જીવંત પશુપક્ષીઓને મારી તેમનાં માંસહાડકાં ચૂસવાની જરૂર જ ક્યાં રહે ?’

‘માંસાહારથી ટેવાયેલી જનતાને એનો સ્વાદ છોડતાં ભારે મુશ્કેલી પડી હશે… નહિ ?’

‘ના રે ! સ્વાદ તો ટેવની આંગળીએ વળગીને ચાલે છે… અને માંસાહારમાં પણ વનસ્પતિ મશાલો જ મહત્ત્વનો ગણાય. માનવજાતને પૂરતું અનાજ થયું ત્યારથી માંસાહાર અટકી જ ગયો છે… આપોઆપ. કાયદાની જરૂર જ પડી નથી.’

‘પરંતુ… માંસાહાર વગર જનતાનું વીરત્વ ઘટી ગયું હશે ને ?’ સુરેન્દ્રે પૂછ્યું.

સંચાલક યુવતી ખડખડાટ હસી પડી - જાણે કોઈ અજાણ માણસ સૂર્યદેવને કેટલા હાથ છે એમ પૂછતો હોય એવો યુવતીના હાસ્યનો ધ્વનિ હતો ! સુરેન્દ્રને જરા ખોટું લાગ્યું. એ પોતાને એવો બબૂચક માનતો ન હતો કે જેથી તેની વાણી આવા હાસ્યને પાત્ર તેને લાગે.

‘મારો પ્રશ્ન હસવા જેવો કેમ લાગ્યો ?’

‘એ ચર્ચા અમારે ત્યાં પણ ચાલી હતી… પરંતુ વનસ્પતિઆહાર શાસ્ત્રીય રીતે જ માંસાહાર કરતાં વધારે ઉપયોગી નીવડ્યો… અને હવે વીરત્વનો અર્થ અમારે ત્યાં જુદો થાય છે. યુદ્ધ તો હવે બંધ જ થયું છે.’

‘યુદ્ધ બંધ થઈ ગયું ? શું કહો છો ?’

‘હા જી. માનવ-મહારાજ્ય સ્થપાયા પછી કોણ કોની સાથે ઝઘડો કરે ?’

‘એ બધું બન્યું શી રીતે ! મને જલદી કહો. હું પણ એ જ માંગતો હતો.’

‘સાંભળો ! ગાંધીખંડનો એક વિભાગ ભારત તરીકે ઓળખાતો