પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૪
 
પ્રેમવૈચિત્ર્ય
 

માતાને પોતાની પાછળ આશીર્વાદ છાંટતી છોડી સુરેન્દ્ર આગળ ચાલ્યો. આજના યુગના અસહાય ભિખારીની કલ્પનામાં પણ મોટરકાર ન હોય એમ તો બને જ નહિ. સુરેન્દ્ર પણ એક ક્ષણ માટે ઇચ્છી રહ્યો કે તેને વાહન મળે તો સમયનો વધારે સારો ઉપયોગ થાય… અને દેહકષ્ટ ઓછું પણ થાય.

પરંતુ ભારતમાં સમયની કિંમત કેટલી ? કોને સમયની કિંમત હોય ? અમલદારી તૉર દર્શાવવો હોય, કાળા બજારમાં વધારે નફો લેવો હોય. અગર ચીલ ઝડપનો ગુનો કરી ઝડપથી ભાગી જવું હોય, એ સિવાય સમયમાં ઝડપ લાવવાની ભારતમાં જરૂર જ શાની પડે ? કારની સગવડ પણ નાનામાં નાના માનવીને ન થાય ત્યાં સુધી સુરેન્દ્રથી કાર તરફ મીટ મંડાય જ નહિ ! એ એનો આદ્ય સિદ્ધાંત. વળી પગે ચાલતાં વિચારો અને કલ્પનાઓ - યોજનાઓ અને ઘટનાઓ ઘડવામાં જે મોજ આવે છે એ મોટરકારનો ઉપયોગ કરનારને ન જ આવી શકે. પગે ચાલનારનું એ મોટામાં મોટું સુખ !

રાત્રે સ્વપ્ન દ્વારા એકવીસમી સદીના નૂતન યુગમાં પહોંચી ગયેલો સુરેન્દ્ર એ યુગની અને આજના વીસમી સદીના યુગની સરખામણીમાં પડ્યો. નૂતન યુગના ઘટાદાર વૃક્ષોવાળા રસ્તા ઉપર ચાલતાં સુરેન્દ્રે જરાય તાપ અનુભવ્યો નહોતો; અત્યારે ભરતાપમાં તે ફરતો હતો, પરંતુ એવાં દુઃખની ગણતરી કરી બેસી રહેનારથી નવી દુનિયા રચી શકાય જ નહિ.

એકાએક તેને ખભે કોઈનો હાથ પડ્યો. તેણે જોયું કે તેનો જૂનો મિત્ર પરાશર તેને રોકી રહ્યો છે !

‘પરાશર ! તું ક્યાં હતો આટલા દિવસ ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘કોઈને કહીશ નહિ… પણ હું યુ. જી. છું.’ પરાશરે કહ્યું.

‘યુ. જી. ? એટલે ?’

‘શું તુંયે, સુરેન્દ્ર ! આ નવી દુનિયામાં પણ તારે હજી બાઘા જ બનીને