પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજદારી: ૨૬૫
 

રૂપમાં પ્રદર્શન-પ્રચાર સમજાવા લાગ્યાં. એણે શ્રીલતાને એકાંતમાં મળવાનું ઘટાડી દીધું, અને ઊર્મિના આવેગ ઉપર સંયમ મૂકી દીધો.

જ્યોત્સ્ના તરફ તેની નજર ઠરવા લાગી. જ્યોત્સ્નાના પિતાએ હજી પૈસા ગુમાવ્યા ન હતા એ મુખ્ય ધ્યાન ખેંચનારી હકીકત બની રહી. બાકી જ્યોત્સ્ના શ્રીલતા કરતાં ઓછી રૂપાળી તો હતી જ નહિ ! રૂપમાં, દેહાકૃતિના પ્રમાણમાં બન્ને આકર્ષક હતાં જ - સરખાં જ - ભૂલ થઈ જાય એટલાં સરખાં હતાં. જ્યોત્સ્ના ભલે ઠંડી લાગતી હોય છતાં એનું ગાંભીર્ય તો એના રૂપમાં વધારો જ કરતું હતું ! ચિબાવલાશ કરતાં ગાંભીર્ય વધારે જ રૂપાળું ! અને ચોવીસે કલાક કાનમાં લાગ્યા કરતા શબ્દોને સ્થાને કદી કદી સંભળાતા શબ્દો જરૂર મીઠા વધારે લાગે. જ્યોત્સ્ના એને ગમવા લાગી હતી - શ્રીલતા કરતાં પણ વધારે.

પરંતુ જ્યોત્સ્ના પોતાની આસપાસ કોટકિલ્લા રચી બેસી ગઈ હતી. એણે સ્પષ્ટ રીતે શરૂઆતમાં સુરેન્દ્ર તરફ પક્ષપાત પણ બતાવ્યો હતો… અને સુરેન્દ્રના વેદિયાપણાએ મધુકરને સાથમાં લીધો ન હોત તો જ્યોત્સ્નાને જીતી લેવાની તેની જીવનભરની તક હાથમાંથી ચાલી ગઈ હોત ! સુરેન્દ્રની સેવાભાવનાનો એક ઉપકાર ખરો જ કે એણે રાવબહાદુરને ત્યાં મધુકરને સ્થાન અપાવ્યું. પરંતુ એમ કરીને એણે પોતાની રાવબહાદુરને માટે તેમ જ જ્યોત્સ્નાના પ્રેમ માટેની નાલાયકી જ સ્પષ્ટ કરી આપી હતી. ન લાયક હોય અને એને રુખસદ મળે એમાં ઉપકારવશ ત્રાહિત સરખો મધુકર પણ શું કરે ? બેવકૂફ સુરેન્દ્રમાં જ્યોત્સ્નાને સમજવાની શક્તિ જ ન હતી. સેવાભાવનાં તેનાં ધતિંગ જ્યોત્સ્નાને કદી સુખી કરી શકે એમ લાગતું નહિ. સુરેન્દ્ર તરફથી પાછી વળી જ્યોત્સ્ના તેના તરફ આકર્ષાય, અને એ આકર્ષણનો તે જવાબ આપે એમાં એનો - મધુકરનો –દોષ પણ શો ? જ્યોત્સ્નાનાં માતાપિતાને પણ તે ગમી ગયો હતો ! પોતાના આગ્રહ કરતાં રાવબહાદુર અને યશોદાબહેનનો આગ્રહ વિશેષ હતો…અને ઠંડી જ્યોત્સ્નાએ પોતાની ઠંડી, ડાહી, ઠાવકી ઢબે લગ્ન માટેની અનુકૂળતા કરી આપી હતી જ. એટલે જ્યોત્સ્ના સાથે થનાર ભાવિ લગ્નમાં મધુકરનો કાંઈ સક્રિય ફાળો કે ખટપટ હતાં નહિ એમ મધુકરને સ્પષ્ટ લાગ્યું. સ્વાભાવિક રીતે જ દુનિયા તેની બાજુએ વળતી હતી. લોહચુંબક અને લોખંડની માફક. રાવબહાદુરની મિલકત અને રાવબહાદુરની પુત્રી તેને લાયકાતના ધોરણે મળતાં હોય તો હરકત પણ શી ?