પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન તરફ પગલાં ૨૭૧
 


‘છોકરીની જાત ! ભણેલી અને અભણ બધી જ સરખી. એણે તો મને એમ જ કહ્યું કે એ બાબત એ પોતે જ તમારી સાથે સમજી લેશે.’ રાવબહાદુરે કહ્યું. અને તેમણે પગ જરા પાછા ફેરવ્યા. તે તકનો લાભ લઈ મધુકરે કહ્યું :

‘ત્યારે હું આ પત્રિકા છાપવાની આપની અંતિમ પરવાનગી માની લઉ છું.’

‘ભલે.’ કહી રાવબહાદુરે ત્યાંથી વિદાય લીધી.

મધુકર થોડી વારે જ્યોત્સ્નાના ખંડ તરફ ગયો. જ્યોત્સ્ના કંઈ વાંચતી બેઠી હતી. સુરેન્દ્રના ગયા પછી અને જ્યોત્સ્ના સાથેના લગ્નની વાત વધતી જવાથી હવે મધુકરને જ્યોત્સ્નાના ખંડમાં જવાનો હક્ક મળી ચૂક્યો હતો. વાંચતે વાંચતે આડી નજર જ્યોત્સ્ના કરતી જ ન હતી - જોકે મધુકર તેની પાસે આવીને ઊભો હતો એમ તેણે જાણ્યું હતું છતાં ! વાંચવામાં મશગૂલ હોવાનો દેખાવ કરનાર જ્યોત્સ્નાને થોડો સમય જોઈ રહી મધુકરે કહ્યું :

‘જ્યોત્સ્ના ! આ વાંચી જો’ કહી તેણે કુમકુમપત્રિકા તેની સામે ધરી. જ્યોત્સ્નાએ પત્રિકા તરફ નજર કરી કહ્યું :

‘એ મેં જ લખેલી છે. મારા અક્ષર તને ઓળખાયા નહિ ?’

‘અક્ષરના અર્થમાં હું એટલો મશગૂલ હતો કે અક્ષરનો મરોડ કોનો છે એ જોવાની મને ફુરસદ જ મળી નહિ.’ મધુકરે ચાતુર્યપૂર્વક કહ્યું.

‘હું સમજી.’

‘એમાં કંઈ ફેરફાર કરવો છે ?’

‘તને યોગ્ય લાગે તે ફેરફાર કર.’

‘મારે તો કાંઈ જ ફેરફાર કરવો નથી. પરંતુ જ્યોત્સ્ના ! તું આમ સતત ઉમળકા વિહોણી કેમ રહે છે ?’

‘સ્વભાવને હું ક્યાં બદલું ? ઉમળકો જોઈતો હોય તો હજી આ પત્રિકા બદલી નાખ.’

‘બદલી નાખીને કોનું નામ લખું ?’

‘શ્રીલતાનું. એનામાં તને ઉમળકો ઘણો મળશે.’

’હજી એની એ વાત ? શ્રીલતાનું નામ છોડી દે.’

‘વારુ.’

‘તો પછી આ કંકોતરી હું છાપવાને આપી દઉં છું.’