પૃષ્ઠ:Snehashristi.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
 
ચાર આંખ
 


જ્યોત્સ્નાને મેળવવાનો એક સફળ માર્ગ જડતાં મધુકરને નિદ્રા આવી. રાવબહાદુર અને તેમનાં પત્નીનું મન મનાવવું મધુકરને બહ મુશ્કેલ ન લાગ્યું. તેમની પાસે ધન હતું, વૈભવ હતો, શોખ હતો. ચાલી શકે એવા સંસ્કાર હતા ને ઠીકઠીક માનપ્રતિષ્ઠા પણ હતાં. હવે બીજું કાંઈ મેળવવાનું રહ્યું ન હોવાથી, હતી એના કરતાં વધારે કીર્તિ મળે એવી રાવબહાદુરને સ્વાભાવિક રીતે જ ઈચ્છા થાય. મબલખ સાધનોનો માલિક કાં તો ગુનાઈત વિલાસ તરફ વળે અગર કીર્તિ પાછળ ફરે. જોકે મોટે ભાગે બન્ને પાછળ એ ફરી શકે એમ હોય છે.

અને રાવબહાદુરે સુખ પણ શોધ્યું અને કીર્તિ પણ શોધી. એ બન્ને તેમને મળ્યાં, પરંતુ મળે એટલાથી સંતુષ્ટ રહે એનું નામ માનવી નહિ. રાવબહાદુર ગિરિજાપ્રસાદનું કુટુંબ પિતૃપક્ષે ગામડાના એક ઘસાઈ ગયેલા જમીનદારનું હતું. પરંતુ એક મિત્રની સોબતમાં તેઓ ભણ્યા અને આગળ પણ વધ્યા. એમના જ ગામડાનો રહીશ મિત્ર પણ ઘસાઈ ગયેલી જમીનદારીનો જ વારસ હતો. એનું નામ હતું કનકપ્રસાદ. ગિરિજાપ્રસાદ અને કનકપ્રસાદ બંને ગમે તેમ કરી ગામડાની બહાર નીકળી સાથે ભણવા માટે શહેરમાં ગયા. ભણતે ભણતે બંનેને રાષ્ટ્રવાદની ઝપટ લાગી ચૂકી. પરંતુ ગિરિજાપ્રસાદને લાગ્યું કે કમાણી વધારી પૈસો ભેગો કર્યા પછી જ રાષ્ટ્રને અસરકારક સહાય આપી શકાય. જ્યારે કનકપ્રસાદે વિચાર્યું કે ધનની લગની લાગતાં રાષ્ટ્રભક્તિ જીવનમાં ગૌણ સ્થાને બેસી જવાનો પૂર્ણ સંભવ મનાય. આ મતભેદમાંથી બંને મિત્રોના માર્ગ અને જીવન જુદાં પડી ગયાં. કનકપ્રસાદને ચાહવા લાગેલી એક રૂપાળી યુવતી કનકના ભયંકર ભાવિનો વિચાર કરી, ડહાપણ વાપરી કનક પાસેથી ખસી ગઈ અને ગિરિજાપ્રસાદને પરણી. જ્યારે રાષ્ટ્રભક્તિની ઘેલછાને સ્વીકારી લીધેલી એક યુવતીએ માતાપિતાની મરજી વિરુદ્ધ કનક સરસા અસ્થિર જીવન ગુજારતા યુવક સાથે લગ્ન કરી લીધાં.

એ વાત હવે બહુ જૂની થઈ ગઈ ને લગભગ ભુલાઈ પણ ગઈ.