પૃષ્ઠ:Snehashristi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખઃ ૬૩
 

પરંતુ યશોદાબહેન કરે પણ શું ! એમને માથે લોકો મોટાઈ ફંકી જતાં હોય ત્યાં તેમનો ઇલાજ પણ શો ?

ચારેક સુખી, શરીરે ઠીકઠીક પુષ્ટ અને અઠવાડિયે એક વાર સમાજમાં મળી ભાષણ કરી અગર સાંભળી - અને તે નહિ તો ગેરહાજર બહેનોની ગુપ્ત વાત કરી સંતુષ્ટ રહેતાં સમાજસેવી સન્નારીઓ યશોદાબહેનની મુલાકાતે આવી જ ચઢતાં અને શીવણવર્ગની સ્થાપના. પાપડની પરીક્ષા, સુવાવડમાં મજૂર સ્ત્રીઓને મળવી જોઈતી રજા, બાળસંમેલનની તારીખ અને ઊંધિયા-પાર્ટીનું સ્થળ તથા પ્રમુખસ્થાન જેવા મહત્ત્વના પ્રશ્નોનો નિર્ણય યશોદાબહેનની સલાહ અનુસાર લેવાતો પણ ખરો.

નવાઈની વાત તો એ હતી કે હવે રાવબહાદુર તથા યશોદાબહેન બન્ને વ્યાખ્યાનો પણ કરી શકતાં ! આજના યુગમાં જેને બોલતાં ન આવડે એ બાજુએ રહી જાય છે… ને એક વાર હિંમત કરનારને સમજાય છે કે વ્યાસપીઠ ઉપર ચઢી ભાષણ કરવું એના જેવી સહેલી કળા બીજી એક નથી… મનમાં ચાલતી ઘટમાળ જીભે ઉતારવી અને જીભે ચઢેલો લવારો વ્યાસપીઠે ચડાવવો એનું નામ ભાષણ !

આ કાર્યક્રમ મધુકરના આવ્યા પછી નિત્યનો બની ગયો હતો, અને સાંજની બગીચાની ફેરણી પણ આવશ્યક બની રહી હતી. બહુ મુલાકાતો પછી ઊપજતો કંટાળો નિવારવા રાવબહાદુર અને યશોદાબહેન મધુકરને કારમાં સાથે લઈ ફરવા જતાં. હમણાંની જ્યોત્સ્ના તેમની સાથે ફરવા ન જતાં ઘેર બેસી રહી અભ્યાસમાં જ પરોવાયેલી રહેતી. કોઈ કોઈ વાર માતા પોતે જાતે જઈને અગર મધુકરને મોકલી પુત્રીને સાથ આપવા કહાવતી, પરંતુ જ્યોત્સ્ના મોટે ભાગે ના પાડતી, એકલી બેસી વાંચતી અગર લાંબા સમય સુધી સુરેન્દ્ર પાસે બેસી પુસ્તકો ઉથામતી.

જ્યોત્સ્નાનો અભ્યાસખંડ પણ અત્યંત સુંદર હતો. સફાઈભરી બિછાયત, પુસ્તકો અને વસ્તુઓની સુશોભિત ગોઠવણી. છબીઓની પસંદગી, ફૂલદાની અને ધૂપ, જરૂર પૂરતી ઠંડક અને આંખને વાગે નહિ એવું અજવાળું જ્યોત્સ્નાના અભ્યાસખંડને આદર્શ નિવાસ બનાવી દેતાં હતાં. ખંડની ખુલ્લી જમીન ઉપર સુંદર ફૂલપાથર્યો બગીચો વિસ્તરી રહ્યો હતો. ખંડના સૌંદર્યથી આંખ જરા કંટાળે તો બહાર નિહાળે. અને બહારની લીલોતરી તથા પુષ્પોની રંગીન જ્યોત એ કંટાળેલી આંખને જુદું જ સૌંદર્ય બતાવે !

એકનું એક સૌંદર્ય પણ કંટાળો ઉપજાવતું જ હશે, નહિ ?