પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક:મૂળુ માણેક
૧૬૩
 

માઢની બારીઓ સળગાવીને તાપતા તાપતા કાફીઓ લલકારવા લાગ્યા. અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળુ તથા દેવો માધવરાયજીને મંદિરે ચડ્યા.

“માણસોએ કહ્યું કે “મુળુભા ! મંદરને મોટાં તાળાં દીધાં છે.”

“અરે ક્યાં મરી ગયો પૂજારી ?”

“ભેનો માર્યો સંતાઈ રહ્યો છે. કુંચીયું એની કડ્યે લટકે છે.”

“પકડી લાવો ઈ ભામટાને.”

પૂજારી સંતાઈ ગયો હતો એને ખોળીને હાજર કર્યો.

“એ બાપુ ! માધવરાયના અંગ માથેથી દાગીના ન લેવાય હો !”

“હવે મુંગો મર, મોટા ભગતડા ! તારે એકને જ માધવરાય વા'લો હશે ખરૂં ને ? મુંગો મુંગો મને કમાડ ખોલી દે. મારે દરશન કરવાં છે. દાગીના નથી જોતા.”

મુળુના ડોળા ફર્યા કે બ્રાહ્મણે ચાવી ફગાવી, મંદિરનાં તોતીંગ કમાડ ઉઘડ્યાં. માધવરાય ! માધવરાય ! ખમા મારા ડાડા ! એમ જાપ જપતો મુળુ મંદિરમાં દાખલ થયો. દોડીને પ્રતિમાજીને બથ ભરી લીધી. ડાડા ! ખમા ડાડા ! એમ પોકાર કરતાં કરતાં મુળુ પોકે પોકે રોઈ પડ્યો. માણસો જોઈ રહ્યાં કે “આ શું કરે છે ? આની ડાગળી ખસી ગઈ કે શું થયું ?”

સારી પેઠે કોઠો ખાલી કરીને મુળુ ઉઠ્યો. પાછલે પગે ચાલતો ચાલતો બે હાથ જોડીને બહાર નીકળ્યો.

દુકાનોમાંથી રેશમી વસ્ત્રનો તાકો ઉપાડી લાવી મંદિર ઉપર નવી ધજા ચડાવી. પછી મુળુએ હુકમ આપ્યો કે “કોઈને લૂંટ્યા કે રંઝાડયા વિના ફક્ત લુવાણા અને ખોજા વેપારીઓને આંહી શાંતિથી બોલાવી લાવો.”

મંદિરને ઓટલે બુંગણ ગાદલાં પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધુ કે બ્રાહ્મણોની ચોરાસી જમાડવી માટે બ્રાહ્મણો માગે તેટલો સીધો સામાન કાઢી આપો.