પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક:મૂળુ માણેક
૧૮૫
 
૨૯

"મુરૂભા આ વાડીની ઘટા ઠાવકી છે. ભૂખ્યા થાક્યા આંહી જ વિસામો લઈએ.”

“હા વેરસી ! માણસું અનાજની ના પાડશે. પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે ?"

હસીને જવાબ દેતાં દેતાં બહારવટીઆએ પોતાના દુબળા દેહ ઉપરથી હથીયાર છોડ્યાં. બરડાના વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડીલ પડતું મેલ્યું. ભૂખ અને ઉજાગરે એના પહાડી દેહને પણ પછાડી નાખ્યો હતો.

વૈશાખની ઉની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં ! ઝાંઝવાં ! ઝાંઝવાં ! જાણે નદી સરોવર ભર્યા છે; ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે !

બીજા ચાર સાથીડા ભેળા હતા તેણે પણ હથીયાર પડીયાર ઉતારીને ઓસીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મ્હોં રાખતો બહારવટીયો બોલ્યો:

“જોયું ભાઈ જગતીયા ! આ ઝાંઝવાં જોયાં ! ઓખો જાણે આઘો ઉભો ઉભો હાંસી કરી રહ્યો છે ! અરે ભુંડા ! પાંજો વતન થઈને ટરપરાવછ ? અટાણે ?”

મુળુએ મ્હોં મલકાવ્યું : એની આંખેામાં જળજળીયાં છલી આવ્યાં.