પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સોરઠી બહારવટીયા : ૩
 


ભીયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા.

લુંબા ભાંગ્યું ને અાંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં.

સણોસરી ને નગડીઆની લૂંટ કરી લોકોને દાંડીયા રાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યા.

ગીરાસીઆઓનો પોતે આશરો પામતો હોવાથી ગીરાસીઆ ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બીનવાકેફ કાદુ જેઠસુર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તલવારધારી કાઠી જુવાનને ઉભેલો જોયો. અવાજ દીધો કે “અય જુવાન ! હથીઆર છોડી દે.”

પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણવાર કહ્યું કે “જુવાન ! હથીઆર છોડી દે.” પણ જુવાન જડ પત્થર જેવો ભાન ભૂલી ઉભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂટ. એ ટાણે વસ્તીમાંથી કોઇએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો, જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી ?” “ અરર ! આ દરબારનું ગામ ? ભૂલ થઇ.” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.

ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બાળ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન બાહાદૂર અલ્વીના ભાઈની ગીસ્ત પર તાશીરો કરી ભગાડી, ગામલોકોનાં નાક કાન કાપ્યાં.

ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યા ડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી, પોતાની ફતેહમાં મદછક બની, અને કિનો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં *[૧].નાક કાન કપાવવાં શરૂ કર્યા. એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણા :


  1. *આ કાદુએ કરલી નાક કાનની કાપાકૂપને અંગે જ જુનાગઢના સ્વ. દાક્તર ત્રીભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી