ભાવનારૂપે જીવી કાઢીને ક્રિયાકાંડ પ્રતિ બેપરવાઈ કેળવતા :
જેમ કે
ઘટડામાં નવલખ તારા રે
- કાચી કેણે ધડેલી મોરી કાયા.
અથવા
- શિખરૂં રોપાવેલ મારે શિષે જી.
નવસો નવાણુ નદીયું અંગડે ઉલટીયું રે
- ગંગા જમના સરસતી જી.
ગંગા-યમુના કે કાશી કેદારની યાત્રાઓ ન થાય તે કશી ફિકર નહિ: સદાચરણ પાળનારને તો અંતઃકરણમાં જ ગંગા છે, અને ખુદ ગંગાને પણ પોતાના મળ ધોવા સંતોને ચરણે આવવું પડે છે, એવાં સદાં જીવન-સૂત્રો તેઓ લોકોને શીખવી ગયા છે.
મેળા
મેળાએાની પ્રથામાં સંતોએ ઘણું જીવન મેલી દીધું હતું. મેળાને તીર્થસ્થળો સાથે સંધાડી દઇ, તીર્થસ્થાન, ભજનકીર્તન, અન્નદાન અને પોતાની હાજરી વગેરે વડે ધાર્મિક વિશુદ્ધિનો પાસ આપવાનો એ પ્રયત્ન હતો. એવા નિર્ભય વાતાવરણને લીધે નર તેમજ નારી, બન્નેનાં વૃંદ ઉમટતાં. એ શુદ્ધ વાતાવરણની એાથે સાહિત્ય, કળા, રમતો, શરીરબળ, હટાણું, પશુપાલન વગેરે પોષાતાં. મેળાઓની આજે ઝડપભેર જે અધોગતિ થતી જાય છે, તે પરથી ગમ પડે છે કે જે આ લોકસંતોની જીવન-વિશુદ્ધ મેળાઓમાં ન સીંચાણી હોત, તો તેમાં સારાં તત્ત્વ ખીલી શક્યાં જ ન હોત.
સંતોની જગ્યાઓ
પ્રથમ સાદી પર્ણકૂટી કે માટીનું સાદું ભીંતડું: પંથીઓને અથવા પશુઓને માટે પાણી પીવાની ને ન્હાવાની કૂઈ કે અવેડી :