પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૧૨ મું – વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા.

મહાનભક્ત કવિ નરસિંહ મહેતો કહે છે કે “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયાં.” મનુષ્યના શરીરની સાથેજ સુખ અને દુઃખ સરજાયેલાં છે, મનુષ્યમાત્રના જીવનમાં દુઃખના દિવસો આવે છે. વળી એક મહાન ગ્રીક તત્વવેતા કહે છે તે પણ બરાબર છે કે “જેણે વિપત્તિનું દર્શન કર્યું નથી તે ભાગ્યહીન છે !” મનુષ્ય જીવનમાં વિપત્તિ આવશ્યક છે, વિપત્તિ વગર ચારિત્ર ઘડાતું નથી. વિપત્તિ વગર મનુષ્યની શક્તિઓ પૂર્ણ વિકાસને પામતી નથી. મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓને વિપત્તિ બહાર ઘસડી લાવે છે અને મનુષ્ય વિકાસને પામી પોતાના મનુષ્ય સ્વરૂપમાં પૂર્ણપણે પ્રકાશી રહે છે, વિપત્તિ વગર મહત્તા પ્રાપ્ત થતી નથી. જગતના મહાન પુરૂષનાં ચારિત્ર વિપત્તિએજ ઘડેલાં છે. નિષ્ફળતા, નિરાશા; નિર્ધનતા અને એવાં એવાં અનેક સંકટોરૂપી ખીણોમાં તેઓ રખડ્યા છે, ભટક્યા છે, અથડાયા છે. ઘણાને આમ ભટકવું પડે છે; પણ સામાન્ય જીવોજ એવી વિપત્તિઓથી દબાય છે; મહાન પુરૂષો તો ઉલટા તેનાથી ઘડાય છે.

પૃથ્વી પર પૂર્ણ પ્રકાશ આવે છે, અને પાછી રાત્રિ તેને ઘેરી લે છે. આ પ્રમાણે ઉદય અને અસ્ત દરેક વસ્તુને–પ્રાણીને, મનુષ્યને, પ્રજાઓને, મહાપ્રજાઓને, રાજ્યોને, મહારાજ્યોને, પણ લાગુ છે. જેને આદિ છે તેનો અંત છેજ.

નરેન્દ્રના કુટુંબની સમૃદ્ધિનો સૂર્ય અત્યારસુધી પૂર્ણપણે પ્રકાશી રહ્યો હતો, તે હવે એકા એકજ અસ્ત થવાનો સમય આવ્યો. જે કુટુંબ કલકત્તામાં નામાંકિત અને સમૃદ્ધિવાન દત્ત કુટુંબ તરીકે પ્રખ્યાત હતું તે કુટુંબમાં અન્નને અને દાંતને વેર થવાનો પ્રસંગ આવ્યો.