અને તમારા સ્વાર્થત્યાગ અને ઉત્સાહથી પાશ્ચાત્ય પ્રજાઓ હિંદનાં આધ્યાત્મિક સત્યોના સમાગમમાં આવવાને ભાગ્યશાળી થયેલી છે. વળી આપણા જે પુષ્કળ સ્વદેશી બંધુઓ પાશ્ચાત્ય સુધારાના તેજમાં અંજાઈ રહેલા હતા તેઓ પણ તેમાંથી મુક્ત થયેલા છે અને આપણા બાપદાદાએ આપેલા યશસ્વી વારસાની મહત્તા સમજવા લાગ્યા છે.”
“તમારા ઉમદા કાર્ય અને દૃષ્ટાંતથી તમે અખિલ વિશ્વને આભારી કર્યું છે અને તેનો કોઈ રીતે બદલો વાળી શકાય તેમ નથી. તમે આપણી માતૃભૂમિ ઉપર નવીન પ્રકાશ નાંખ્યો છે. અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે તે તમને અને તમારા કાર્યને આબાદ રાખે.”
સ્વામીજી ઉપલા માનપત્રનો જવાબ આપવાને ઉભા થતાંજ આખી સભા તાળીઓના અવાજથી ગાજી રહી. તેમણે સાદી, સરળ પણ જુસ્સાદાર ભાષામાં જવાબ આપ્યો. તેમના શબ્દો જો કે સાદા હતા પણ તેની અસર શ્રોતાઓ ઉપર એટલી બધી થઈ રહી કે સર્વે અત્યંત ભાવથી સઘળું સાંભળી રહ્યા.
સ્વામીજીએ હિંદુઓની આધ્યાત્મિકતાની પ્રશંસા કરી, તેની મહત્તા અને તેમાં રહેલું સામર્થ્ય તેમણે સમજાવ્યું. તેમણે કહ્યું કે, હિંદુઓ પ્રાચીનમાં પ્રાચીન ધાર્મિક ગુરૂઓ છે. એક દ્રવ્યહીન સંન્યાસીને તેઓ જે માન આપી રહેલા છે તે દર્શાવે છે કે તેમનામાં જે ધાર્મિકતાએ વાસ કરેલો છે તે દ્રવ્ય કે વૈભવની દરકાર કરતી નથી.
પછીથી સારા ફરનીચર અને હવા ઉજાશવાળા એક બંગલામાં સ્વામીજીને લઈ જવામાં આવ્યા. સ્વામીજી પોતાના આસન ઉપર બેઠા. મંડપમાં જે માણસો એકઠા થયા હતા તે સઘળા ત્યાં આવ્યા અને તેમની સંખ્યા વધતી જ ગઈ. લોકો જાણે કે પાછા ઘેર જવાને ખુશીજ નહોતા ! આવા પવિત્ર સાધુની સંનિધિમાં જેટલો વખત ગળાય તેટલો ઓછો એમ તેમના મનમાં હતું. હિંદમાં સાધુનાં દર્શન