નૈયાયક—અમારી સમજણ પ્રમાણે
છોકરો—(પુરાણીને) પુરાણ એટલે શું ?
પુરાણી—મહાભારત, ભાગવત આદિક અઢાર પુરાણ છે.
છોકરો—કેટલાં પુરાણ છે, એમ હું પુછતો નથી, પણ પુરાણ શબ્દનો અર્થ પુછું છું.
પુરાણી—પુરાણ એટલે જુનું.
છોકરો—ત્યારે શું તેમાં જુની વાતો હશે ?
પુરાણી—હાજી.
છોકરો—ભોજ કે વિક્રમની વાત તેમાં હશે ?
પુરાણી—નાજી, એથી અગાઉની વાતો છે.
છોકરો—તે પુરાણ ક્યારે થયેલાં હશે ?
પુરાણી—એ તો ત્રેતાયુગમાં, અથવા દ્વાપરમાં થયેલાં.
છોકરો—અશોકરાજાનું નામ કોઈ પુરાણમાં છે કે નહિ ?
પુરાણી—જાણ્યામાં છે તો ખરૂં.
છોકરો—અશોકરાજાને કેટલાં વર્ષ થયાં ?
પુરાણી—તે અમે જાણતા નથી.
છોકરો—અશોકની વખતનો શિલાલેખ ગિરનાર ઉપર છે, અને તેથી તેનાં વર્ષ જણાઈ આવે છે. અને તેના ઉપરથી એ પુરાણ ક્યારે બન્યું હશે તે પણ કહી શકાય.
પુરાણી—એ વાત કાંઈ સંભવતી નથી.
છોકરો—(જોશીને) વર્ષના દહાડા કેટલા.
જોશી—ત્રણસેં ને સાઠ.
છોકરો—ટીપણું કાઢીને ગણી જુઓ.