દેશી રાજાઓને સારા માણસોની સોબત હોય, તો તેઓ સુધરે. કહ્યું છે કે
દોહરો.
લાયક જેવા લોકથી, પૂરણ બાંધી પ્રીત.
મહિપતિએ મળવું સદા, રાખી રૂડી રીત. ૧.
દેશી રાજાઓએ સજ્જન માણસોનો મેળાપ કરવો જોઈએ. કોઈ વિદ્વાન, કે આબરૂદાર માણસ પોતાના સંસ્થાનમાં આવે, ત્યારે યથાયોગ્ય તેની મુલાકાત લેવી અને સારી સારી બાબતો વિષે વાતચીત કરવાનો અભ્યાસ રાખવો. કેટલાક ભોળા રાજાઓ, સાહેબલોકોની મુલાકાત કરતી વેળાએ મૂર્ખાઈ ભરેલા પ્રશ્ન પુછે છે, તે એવા કે -
૧. કંપની એટલે શું કોઈ બાઈડી હશે ?
૨. વિલાયતમાં બ્રાહ્મણ, વાણિયા, અને રજપુતની જાતિનાં સાહેબલોકો હશે ?
૩. મડમસાહેબ ચૂડો કેમ નહિ પહેરતાં હોય ?
૪. વિલાયતના લોકો શું ખાતા હશે ?
૫. કામરૂદેશ, અને એકટંગીઆં માણસોના દેશથી વિલાયત કેટલા ગાઉ હશે ?
એવા એવા પ્રશ્નો પુછવાથી પુછનારની મૂર્ખાઈ જણાય છે. માટે સાહેબલોકોને કેવા કેવા પ્રશ્નો પુછવા જોઈએ. તેની યાદી વિચારી વિચારીને પોતાની યાદબુકમાં લખી રાખવી જોઈએ. તે એવી કે -
૧. વિલાયતમાં કિયાં કિયાં બંદર પ્રખ્યાત છે ?
૨. કિયા કિયા વિદ્વાન તથા કારખાનાં પ્રખ્યાત છે ?
૩. હાલમાં કાંઈ નવીન હુનર કળાનો શોધ થયો છે ?