પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
રૂધિર પ્રવાહ વિષે.


સોરઠો.

બન્યો મનહરબાગ, ભૂમી ત્યાં ભારો ભલી;
સુંદરિનું સૌભાગ્ય, જોબનમાં જેવું વધે. ૨

એક ડુંગરાના થડમાં થઈને નદી વહી જતી હતી. અને જેમ ગુમાસ્તાઓ રળી રળીને શેઠનું ઘર ભરતા હોય, તેમ કેટલાએક વહેળા વનનું પાણી લાવી લાવીને નદીમાં ભરતા હતા.

ડુંગરા ઉપર ચડીને જોયું તો આસપાસનું વન સુંદર રળીઆમણું જોવામાં આવ્યું, અને સર્પને આકારે વાંકી ચાલતી નદી ભરપૂર પાણીએ ભરેલી, જેવી નવજોબના સ્ત્રી જુવાનીના મદથી ઘસમસતી ચાલી આવતી હોય એવી દીઠી.

સોરઠો.

નદી સ્વરૂપી નાર, સાગર સામી ઉલટી;
પિયુ મળવાનો પ્યાર, કર્તારેરિ કેવો કર્યો. ૩

એક ડુંગરા ઉપરથી પાણીનો ધોધ પડતો હતો, તેનો દેખાવ, તથા હડહડાટ, સર્વે લોકોનાં મનને ખેંચતો હતો. તે જોવાને માણસોનાં ટોળેટોળાં ત્યાં જઈને ઉભાં રહેતાં હતાં. મેહેતાજીની મંડળી કેટલીએક વાર સુધી ત્યાં ઉભી રહી. પછી મેહેતાજીએ કહ્યું કે, ઝાઝી વાર થઈ, માટે હવે ચાલો શહેરમાં જઈએ.

ત્યારે એક માનેટરે કહ્યું કે સાહેબ, આ ધોધનો અવાજ અચરજ જેવો સંભળાય છે, માટે ઘડીક અહીં ઊભા રહીને સાંભળીએ તો ઠીક. પછી ઘડીક સુધી ઉભા રહ્યા. વળી મેહેતાજીએ કહ્યું કે, હવે તો ચાલો શહેરમાં જઈએ.