પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
તાર્કિક બોધ


પછી તેઓ શહેર ભણી ચાલ્યા; પણ પેલા માનેટરનું મન તો ધોધનો આવાજ સાંભળવામાં મોહિત થઈ ગયું હતું. તેથી સૌની પાછળ રહીને હળવાં પગલાં ભરતો હતો. અને પેલા આવાજ સાંભળવા કાન ધરીને સુરત રાખતો હતો.

સોરઠો.

જેનૂ મન જે સાથ, લલચાઈ લાગી રહ્યું;
ગમે ન બીજી ગાય, રહે લીન તદરૂપ થઈ. ૪

રસ્તામાં એક સુંદર આસોપાલવનું ઝાડ આવ્યું, ત્યાં મેહેતાજી ઉભા રહ્યા. કેમકે, પેલો માનેટર પાછળ રહી ગયો હતો તેને આવવા દેવો હતો; અને વળી એ ઠેકાણાનો સુંદર દેખાવ જોઈને, તે વિષે સ‌ઉને સમજાવતા હતા. તે માનેટર આવી પહોંચ્યા પછી પણ કેટલીએક વાર સુધી ત્યાં ઉભા રહીને વાતો કરી; પણ તે માનેટરે બીજી કશી વાતમાં ધ્યાન આપ્યું નહિ. પેલો અવાજ ત્યાં સુધી સંભળાતો હતો, તેમાં જ તેનું મન હતું. જ્યારે ત્યાંથી ચાલ્યા ત્યારે વળી તે માનેટરે કહ્યું કે - સાહેબ પેલો ઘુઘવાટ અહીં સુધી સંભળાય છે. અને મારા મનમાં તો એવું થાય છે કે-જાણે તે ઘુઘવાટ સાંભળાવા સારૂ અહીં જ બેશી રહું.

સોરઠો.

દૃઢ જ્યાં લાગ્યું ધ્યાન, વળતી બીજું વીસરે;
ભૂખ તરસનું ભાન, રૂદયામાંહિ રહે નહીં. ૫.

મહેતાજી—જેવો આ ઘુઘવાટ અહીં સંભળાય છે. તેવો શહેરમાં શું કોઈ દિવસે સાંભળ્યો નથી ?