પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
રૂધિર પ્રવાહ વિષે.


માનિટર—આ ઘુઘવાટ શહેર સુધી સંભળાતો નથી. અને શહેરને લાગતો બીજો કોઈ ધોધ નથી, કે તેનો ઘુઘવાટ શહેરમાં સાંભળાય.

મહેતાજી—શહેરમાં એક ઘુઘવાટ આવોને આવો જ સંભળાય છે, તે હું કોઈ કોઈ વખતે ધ્યાન રાખીને સાંભળું છું.

માનિટર—શું આજરોજ તે ઘુઘવાટ તમે શહેરમાં સાંભળ્યો હતો ?

મહેતાજી—આજરોજ પણ સાંભળ્યો છે. અને એ પ્રવાહનો ઘુઘવાટ તો હમેશાં સંભળાય છે.

માનિટર—શીયાળામાં અને ઉનાળામાં પણ સંભળાય છે ?

મહેતાજી—શીયાળામાં, અને ઉનાળામાં, તથા જે વર્ષમાં વર્ષાદનો છાંટો પડ્યો નહોય તે વર્ષમાં પણ એ પ્રવાહનો ઘુઘવાટ આવો ને આવો સંભળય છે.

માનિટર—આપના ઘર પાસે સંભળાતો હશે. પણ મારા ઘર પાસે મેં કદી સાંભળ્યો નથી.

મહેતાજી—તમારા ઘર પાસે, તથા નિશાળમાં બેઠાં બેઠાં, અને શહેરમાં હરેક ઠેકાણે રહીને સાંભળવા ધારીએ, ત્યારે સંભળાય છે.

માનિટર—આ વાત મારાથી માની શકાતી નથી. કેમકે - કોઈ માણસે મને કહ્યું નથી કે આ ઠેકાણે પ્રવાહનો ઘુઘવાટ સંભળાય છે.

સોરઠો.

“જેને જેનું જાણ, તે સમજે તે વાતમાં;
અચરજ ધરે અજાણ, માને નહીં મનાવતાં.” ૬

મેહેતાજી—ત્યારે શું હું જૂઠું બોલું છું, એમ તમને લાગે છે ?

માનિટર—આપ કદી જૂઠું બોલો નહીં, એ વિશે તો મારી ખાતરી છે. પણ આ વાત મોટી અચરજ જેવી છે. તેનું કેમ હશે ?