પૃષ્ઠ:Thag.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
 
પાછા છાવણીમાં
 


આઝાદે આટલું કહી પોતાનો ઘોડો પાછો ફેરવ્યો, અને ઝડપથી તે અંધારામાં અદૃશ્ય થઈ ગયો.

હું પણ ધીમે ધીમે અજવાળા તરફ ચાલ્યો. મારા મનને એક પ્રકારનો આનંદ થયો. મારા પોતાના જ માણસો મને મળશે એ વિચારે મારું હૃદય સહજ પ્રફુલ્લ બન્યું. થોડા દિવસમાં બનેલા આ બધા વિચિત્ર બનાવોથી મારું મન અતિશય વ્યગ્ર અને તીવ્ર બની ગયું હતું.

એટલામાં એક ચોકીદારે બૂમ મારી મને રોક્યો. તેનો અવાજ મેં પારખ્યો, અને તેને સામે જવાબ આપી. મારી પાસે બોલાવ્યો. મને જોઈને તે અતિશય આશ્ચર્ય પામ્યો, અને મારી ખબર પૂછવા લાગ્યો. તેણે જણાવ્યું કે ચારે પાસ મારે માટે શોધખોળ ચાલી રહી હતી. કંઈક ગામડાના લોકોને માર પડતો હતો, કંઈક રાજાઓ અને સરદારો ઉપર દબાણ થતું હતું, અને મોટા સાહેબ પણ આવી પહોંચવાના હતા.

મેં તેને જણાવ્યું : ‘હું હવે સહીસલામત છું. જા, જઈને બધાને ખબર કર કે હું આવ્યો છું. તે દિવસે ખજાનો લૂંટાયો અને તંબુમાં આગ લાગી તેમાં કોઈને હાનિ તો નથી થઈ ને ?'

‘નહિ નહિ, સાહેબ ! અમે બધાય જીવતા છીએ. કોઈને કાંઈ થયું નથી. પણ આપને માટે ખાસ ઊંચો જીવ રહેતો હતો.’ આમ કહી, તે છાવણીમાં બધે ખબર આપવા દોડ્યો.

અચાનક એક કાળો કદાવર માણસ મારા ઘોડા પાસે ઊભેલો મેં જોયો. હું સહજ ચમક્યો. અંધકારમાં મારાથી મુખ બરાબર ઓળખી શકાયું નહિ.

‘સાહેબ !’ મેં ગંભીરનો અવાજ પારખ્યો.

‘હજી તું અહીં છે, ગંભીર ?’ મેં પૂછ્યું.

‘હા જી. એ તો ઠીક થયું કે આયેશાને અગમબુદ્ધિ સૂઝી અને મને મોકલ્યો. નહિ તો આપની સલામતી માટે ખરેખર શંકા જ જતી.'

‘એમ ?'