સાધુઓની હિંદમાં ખોટ ન હતી.
'આપ કોણ છો ?’
‘જેની પાસે તને તારા સરદારે મોકલ્યો છે તે ઠગબાવાના મંદિરમાં હથિયાર નહિ વપરાય.'
‘ઠગબાવા ? ક્ષમા કરો ! અમે તો આપની સહાય લેવા આવ્યા છીએ.’ આગેવાને કહ્યું.
‘કહેજે તારા સરદારને કે સ્ત્રી ઉપર હાથ ઉગામનારને ઠગબાવા સહાય નથી આપતા.’
‘ઠગબાવા ? હું ચમક્યો. આ પરિચિત મોં કોનું ? મને મારાં પાછલા વર્ષો યાદ આવ્યાં અને આખો ઠગ-વૃત્તાન્ત મને સાંભર્યો. જાણે તે આજે જ મારી નજર આગળ ન બન્યો હોય !
‘સમરસિંહ ? હું એકદમ પુકારી ઊઠ્યો. એ સાધુ સમરસિંહ હતો. એની મને ખાતરી થઈ ગઈ.
'સ્લિમાન સાહેબ ! વિલાયત જાઓ છો ?’ સમરસિંહે મને ઓળખી પૂછ્યું
હું એકદમ ધસ્યો અને આ સાધુને ભેટી પડયો.
‘સમરસિંહ ! તમે જ મારો બચાવ કરવા સર્જાયા છો શું ?' મારાથી બોલી જવાયું.
‘પ્રભુ વગર કોણ બચાવ કરી શકે ? આવો. જરા આરામ લો અને આ બધાને માટે હું રસોઈ તૈયાર કરાવું.’
અમારી સાથેનાં બાળકો તેમ જ સ્ત્રીઓ તેમ જ બળવાખોરો એ બધાં જ આ દૃશ્ય જોઈ રહ્યાં. બળવાખોરોએ હથિયાર નીચે નાખ્યાં અને ઘોડા બાંધી ધર્મશાળાની ઓસરીમાં બેઠા.
શંખનાદથી આકર્ષાયલા પંદરેક સાધુઓ ક્યાંકથી ફૂટી નીકળ્યા. સમરસિંહે કહ્યું :
‘બધાંને પાણી પાઓ અને પ્રભુનો પ્રસાદ આપો.'
મને હાથ પકડી સમરસિંહ મંદિરમાં લઈ ગયો. પાછળ પેલી બે. સ્ત્રીઓ આવતી હતી.
‘સ્લિમાન સાહેબ ! આ બંનેને ઓળખ્યાં ?'
‘જોયાં લાગે છે.'
‘આ મટીલ્ડા વિલાયતનું સુખ છોડી અહીં સાધુજીવનનાં દુઃખ વેઠવા આવી છે.'