પૃષ્ઠ:Thag.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : ઠગ
 

સાધુઓની હિંદમાં ખોટ ન હતી.

'આપ કોણ છો ?’

‘જેની પાસે તને તારા સરદારે મોકલ્યો છે તે ઠગબાવાના મંદિરમાં હથિયાર નહિ વપરાય.'

‘ઠગબાવા ? ક્ષમા કરો ! અમે તો આપની સહાય લેવા આવ્યા છીએ.’ આગેવાને કહ્યું.

‘કહેજે તારા સરદારને કે સ્ત્રી ઉપર હાથ ઉગામનારને ઠગબાવા સહાય નથી આપતા.’

‘ઠગબાવા ? હું ચમક્યો. આ પરિચિત મોં કોનું ? મને મારાં પાછલા વર્ષો યાદ આવ્યાં અને આખો ઠગ-વૃત્તાન્ત મને સાંભર્યો. જાણે તે આજે જ મારી નજર આગળ ન બન્યો હોય !

‘સમરસિંહ ? હું એકદમ પુકારી ઊઠ્યો. એ સાધુ સમરસિંહ હતો. એની મને ખાતરી થઈ ગઈ.

'સ્લિમાન સાહેબ ! વિલાયત જાઓ છો ?’ સમરસિંહે મને ઓળખી પૂછ્યું

હું એકદમ ધસ્યો અને આ સાધુને ભેટી પડયો.

‘સમરસિંહ ! તમે જ મારો બચાવ કરવા સર્જાયા છો શું ?' મારાથી બોલી જવાયું.

‘પ્રભુ વગર કોણ બચાવ કરી શકે ? આવો. જરા આરામ લો અને આ બધાને માટે હું રસોઈ તૈયાર કરાવું.’

અમારી સાથેનાં બાળકો તેમ જ સ્ત્રીઓ તેમ જ બળવાખોરો એ બધાં જ આ દૃશ્ય જોઈ રહ્યાં. બળવાખોરોએ હથિયાર નીચે નાખ્યાં અને ઘોડા બાંધી ધર્મશાળાની ઓસરીમાં બેઠા.

શંખનાદથી આકર્ષાયલા પંદરેક સાધુઓ ક્યાંકથી ફૂટી નીકળ્યા. સમરસિંહે કહ્યું :

‘બધાંને પાણી પાઓ અને પ્રભુનો પ્રસાદ આપો.'

મને હાથ પકડી સમરસિંહ મંદિરમાં લઈ ગયો. પાછળ પેલી બે. સ્ત્રીઓ આવતી હતી.

‘સ્લિમાન સાહેબ ! આ બંનેને ઓળખ્યાં ?'

‘જોયાં લાગે છે.'

‘આ મટીલ્ડા વિલાયતનું સુખ છોડી અહીં સાધુજીવનનાં દુઃખ વેઠવા આવી છે.'