પૃષ્ઠ:Thag.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
 
ઠગની બડાઈ
 


ગંભીરે જણાવ્યું કે આયેશાનો સંદેશો લઈ તેના ભાઈની પાસે પોતે જતો હતો. આઝાદે મને આ રસ્તે દોર્યો હતો. એવું ગંભીર જાણતો નહોતો. પેલા મંદિર પાસે બેઠેલા માણસે તો અમે જુદે રસ્તે ગયા હતા એવી માહિતી આપી હતી. એટલે આઝાદની પાછળ જવાનો તેણે વિચાર પણ નહોતો. કર્યો. અને વળી વધારામાં તેણે જણાવ્યું :

'આપ સરખા મોટા માણસની પાછળ પડનાર હું કોણ ?’

ગંભીરની આ બધી હકીકત જેમ મને ખરી ન લાગી. તેમ આઝાદને પણ ન જ લાગી. છતાં આવો બચાવ તેણે કર્યો, એ વિરુદ્ધ કાંઈ કહેવાય એમ નહોતું. એટલે આઝાદે રીસથી ઉત્તર આપ્યો : ‘તું કોણ ? તું તો સમરસિંહનો ખાસ અંગત માણસ. અને સમરસિંહ તો તારા મનથી મારા કરતાં પણ મોટો છે.'

‘ના, જી, મારે મન તો આપ સઘળા સરખા છો. જેનો હુકમ હોય તેનો માથે ચડાવું.’ ગંભીરે કહ્યું.

આ કથન તે માનતો ન હોય એમ આઝાદ ખોટું હસ્યો. થોડી વાર રહી. તેણે પૂછ્યું :

‘આયેશાનો શો સંદેશો ?’

'તે તો હું નથી જાણતો. આ ચિઠ્ઠીમાં જે તે લખેલું છે. મારે તો તે ખાનસાહેબને પહોંચાડવી છે એટલું જ જાણું.’

‘લાવ ચિઠ્ઠી.’ આઝાદે કહ્યું.

‘એ આપને આપવાની નથી.’

‘હું ખાનસાહેબને પહોંચાડીશ. તું પાછો જા.’

‘મારે હાથે જ એ ચિઠ્ઠી આપવી એવો જ હુકમ છે.’

‘હું કહું છું. પછી તે ઉપર બીજો હુકમ કોનો ? ડહાપણ કર્યા વગર એ ચિઠ્ઠી આપી દે.’ આઝાદે મોટેથી કહ્યું.

ગંભીર જરા હસ્યો. તેનો પ્રચંડ કાળો દેહ તેના હાસ્યથી વધારે વિકરાળ બનતો લાગ્યો. મને આશ્ચર્ય લાગ્યું કે તુલસી જેવી વિવેકી અને