પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૃથ્વી ઉપર પગઃ ૨૦૬
 

'ભાગ્ય લઈ જશે ત્યાં !'

'ભાગ્ય તો તમને મારી પાસે... ઘર પાસે... લઈ આવ્યું જ છે... હવે જે કરવું હોય તે ઘેર ગયા પછી...'

'ઘરમાં ત્યારે જ આવું જ્યારે મારું ઘર પીંખી નાખનારને હું પીંખી નાખું !'

'આપણું ઘર કોઈએ પીંખ્યું નથી... છે એમનું એમ ચાલે જ છે...'

'આખી માનવજાત ઉપર મારે વેર લેવાનું હજી બાકી છે, સરલા !'

'વેર તે લેવાય? ઈશ્વર પણ કોઈના ઉપર વેર લેતો નથી... તો પછી આપણે વેર લેનાર કોણ ?' સરલાએ કહ્યું અને કિશોર ક્ષણભર સ્તબ્ધ બની, ચમકી બોલી ઊઠ્યો :

'આ તું બોલે છે? કે પેલા સાધુ ?'

કિશોરની આંખ આગળનું સત્ય દૃશ્ય બદલાઈ ગયું અને એની કલ્પનામાં એને આશ્રય આપનાર સાધુનું સ્થળ ઊભું થયું. આજ સવારમાં જ સાધુ પાસે બેસી કિશોર પોતાના ભાવિને ઉકેલી રહ્યો હતો. વાતચીતમાં વેરનો ભાવ આવ્યા જ કરતો હતો. સાધુના એક પ્રશ્નના ઉત્તરમાં કિશોરે કહ્યું :

‘હજી વેર લેવું બાકી છે, મહારાજ !... મારી બૂરી દશા કરનારા મારા શેઠે મારી જ પત્ની પાસે બંગડી મૂકી... અને મારી પત્નીએ તેને તમાચો પણ ન માર્યો... એ વેર બન્ને ઉપર લેવાનું બાકી છે !'

‘વેર તે લેવાય, બેટા ?... ઈશ્વર પણ કોઈના ઉપર વેર લેતો નથી... તો પછી આપણે વેર લેનાર કોણ ?... અને તું જે વાત કહે છે... કે તારી પત્નીએ બંગડી લીધી...એ જો ખરી પડે તો હું તને વેર લેવાની આજ્ઞા આપીશ... જા, તપાસ કર. ઘરમાંથી કે તારી પત્નીના હાથ ઉપરથી એ બંગડી ઉતારી મારી પાસે લાવ... પહેલાં !... પછી બીજી વાત !' સાધુએ કહ્યું. અને એ જ સાધુની ઈચ્છા અનુસાર બંગડી લેવાનો લાગ ખોળતો કિશોર દુકાન પાસેના ટોળામાં સરલાને નિહાળી ચુપકીથી ઘૂસી ગયો હતો અને સરલાના કાંડા પરથી બંગડી કાઢવા પ્રયત્નશીલ થયો હતો !

વેરની વાત આવતાં સરલાએ ઉચ્ચારેલા વાક્યે સાધુ સાથે ઊકલી ગયેલો આખો પ્રસંગ ફરી ઉપજાવ્યો - કિશોરની કલ્પનામાં ! અને તેનાથી બોલાઈ ગયું.

‘આ તું બોલે છે?.. કે પેલા સાધુ ?'

'કયા સાધુ?” સરલાએ પૂછ્યું.