પૃષ્ઠ:Trishanku.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાહ્ય ચમકનો ચિરાતો પડદોઃ ૭૩
 

હોય ત્યારે ?

ક્લબમાં એક અગર બીજે બહાને, એક અગર બીજા મિત્રના મહેમાન તરીકે આવેલા અણજાણ જેવો દેખાવ કરતા દર્શનની આંખે આ ત્રણે ધનિકો ઓળખાયા વગર રહ્યા નહિ, જોકે ડરવાનો જરાય પ્રયત્ન ન કરતા એ ત્રણે ધનિકોની આંખ સામે શરબત પીતે પીતે આવાં એક નહિ પણ વધારે દૃશ્યો રમતાં હતાં. પોતાનું માનસ મોજશોખ ડરતાં ડરી ન જાય એટલા માટે શરબત પીતે પીતે અને પી રહીને ધનપાલે કહ્યું :

‘નહિ નહિ, મારે ડરવાનું કારણ જ નથી. છો ને ચાડિયાઓ ફાવે તેવી વાત કરે !

જગજીવન રોઠની હિંમત ધનપાલ કરતાં જરાય ઊતરતી ન હતી. ધનપાલની બડાઈ સામે તેમણે પોતે જાહેરાત કરી :

'તો શું મારે ડરવાનું કારણ છે એમ માનો છો ? આપણે તો સદાય નિંદકોની દૃષ્ટિ બહાર જ રહેવાના, અને કોઈને ટીકા કરવાનું કારણ આપવાના જ નહિ!'

રસિકલાલની હિંમત તો ત્રણને ટપી જાય એવી હતી. તેમણે તો સ્પષ્ટતાપૂર્વક જણાવી દીધું :

'આપણે તો કારણ હોય તોયે ડરવાના નહિ ! જેને વાત કરવી હોય તે વાત કરે અને છાપવું હોય તે છાપે. બહુ થશે તો હું પોતે જ મારાં જીવનસંભારણાં જાહેરમાં રજૂ કરીશ ! હિંદમાં પણ કોઈ કેસેનોવા જોઈએ ને ?'

રસિકલાલનું કથન સાંભળી ત્રણે મિત્રો એક સાથે જ હસ્યા. હસતે હસતે ધનપાલ શેઠે કહ્યું :

‘આ રસિકલાલ પોતાની આત્મકથા લખે તો હું જરૂર એની પ્રસિદ્ધિનું ખર્ચ મારે માથે લઉં !'

'ખર્ચ ? રસિક જે આત્મકથા લખે તો એ ગીતાની માફક ઘેર ઘેર વંચાવાની ! છે શર્ત? જે નફો થાય તે મારો ! હું ખર્ચ પણ આપું અને રસિકને મહેનતાણું પણ આપું.' જગજીવન શેઠે કહ્યું અને ત્રણે જણ ફરીથી ખડખડાટ હસ્યા. હસતે હસતે રસિકલાલે કહ્યું :

‘હવે જવા દો ને મારી વાત ? તમારી બંનેની આત્મકથા મારા કરતાં દોઢી બમણી ન થાય તો હું મારી આખી મિલકત ધર્માદા કરી દઉં !'

દૂર બેઠેલા દર્શનના કાન આ વાતચીતથી બહુ દૂર ન હતા. એક