પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯૨ : તુલસી-ક્યારો


'બાપુજી !' વીરસુતના ખંડને બંધ બારણે દેવુનો સ્વર સંભળાયો.

વીરસુત તે વખતે થોકબંધ કાગળોમાંથી ઉતારા કરી રહ્યો હતો. એ કાગળો કંચનના લખેલા, જૂના વખતના હતા. એમાં કંચને જે પ્રેમના ઊભરા ઢોળ્યા હતા તે બે ઉપરાંત ત્રીજા કોઈ માનવીની આંખે ન પડી શકે તેટલા પવિત્ર ગણાય. પણ એ જ કાગળો આવતી કાલે અદાલતમાં રજૂ થઇ અખબારોમાં પિરસાવાના હતા. પ્રેમના અનવધિ ઉમળકાના ઘૂંટડા ભરતે ભરતે વાંચેલા એના એ જ પ્રેમપત્રોની અંદરથી વીરસુત અત્યારે વૈર વાળવાના પુરાવા વીણતો હતો. એ વીણવામાં પોતે એટલો મશગૂલ હતો કે એના ખંડની બારીના વાછટીઆ પર બેસીએને ગાતા એક નાના પક્ષીને પણ એ દાંત ભીંસી ભીંસી વારંવાર ઉડાડતો હતો.

આ 'બાપુજી!' જેવો નવો બોલ પ્રથમ તો એને અસહ્ય લાગ્યો. 'બાપુજી' શબ્દ એણે પારખ્યો જ નહિ. ફક્ત કોઇક બોલે છે, ને એ બોલનાર જો ભદ્રા હોય તો એને સાંજની ગાડીમાં ઘેર ચાલ્યા જવા કહી દેવું જોઈએ, ને નોકર હોય તો કાલથી ન આવવા કહી દેવું જોઈએ, એમ વિચારી એણે ભડોભડ, ગુસ્સાના આવેશમાં બારણા ઉઘાડ્યાં.