પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેવો નાદાન પ્રશ્ન ! : ૨૮૫


'તમે પણ આ તર્કટમાં ભળેલાં છો ભાભી ? મને કેમ કોઈ કશી સ્પષ્ટતા કરતાં નથી ? આ બધો મેળ અને મેળાપ ક્યારે, કેવી રીતે, ને ક્યાં થઇ ગયો ?'

'મને ઘેલી કાં બનાવો છો ભૈ?' ભદ્રાનું તાજું મૂંડાવેલ માથું આ બોલ બોલતી વેળા સહેજ ખુલ્લું પડી ગયું. 'બાપુજીએ તો બધી વાત તમારી કનેથી જાણી પછી મને કહી હતી. તમારી છૂપીચોરીનો તો ઊલટો બાપુજીને ધોખો થતો હતો ભૈ !' બોલીને યુવાન ભદ્રા બાજુએ વળી ગઇ.

'કંઇ જ સમજાતું નથી. કોઇ મને સ્પષ્ટ કરીને કહેતું નથી. મારી સામે આ કયું કારસ્તાન રચાઇ રહ્યું છે ! હું આ કારસ્તાનને ભેદવા કોની કને જાઉં?"

'કોઇ કારસ્થાન નથી ભૈ ! બાપુજી કંઇ અબૂધ છે કે ભોળવાઇ ગયા હોય ?' ભદ્રાએ એને એકસરખા સ્વરે સમતાપૂર્વક કહ્યું.

'કઇ બુદ્ધિ કામ કરી રહી છે, તે તો કહો !' વીરસુતના મગજમાં ધમધમાટ હતો.

'એબ ઢાંકવાની બુદ્ધિ ભૈ ! માણસ જેવું માણસ ઊઘાડું પડે એથી કોને લાભ ભૈ !'

'માણસ જેવું માણસ ? કે સડેલું મુડદું?'

'બાપની બુદ્ધિએ તપાસી જોયું અને જીવતું જાણ્યું. છોને બાપુ ગંદવાડ ધોતા, ભૈ ! નિર્મળ ને નિરોગી બની શકશે તો સંસારમાં એટલી સુગંધ વધશે ને ભૈ ! નરક અને વિષ્ટા તો સૌ રોજ વધારીએ છીએ ! એમાં શી નવાઈ છે ભૈ !'

'અને એના પેટનું એ પાપ...'