પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૩૬ : તુલસી-ક્યારો


આંહીં વીરસુતથી થંભ્યા વગર ન રહેવયું. આંખોનાં પાણીએ ચશ્માના કાચ બગાડ્યા હતા ને પોતે વિચારતો હતો. બાપુજીએ ને ભદ્રા ભાભીએ મને મહાનુભાવ બતાવવા માટે પોતાના અજાણપણાનું કેવું અદ્ભૂતત તર્કટ આ સ્ત્રીના અંતરમાં ઊભું કર્યું છે. એ તર્કટનો ભેદ કંચન સમક્ષ ખુલ્લો કરીને હું મારી મહાનુભાવતાને ભોગે બાપુજીની અને ભાભીની ભવ્યતા પ્રકટ કરી શકીશ ખરો કોઇ દિવસ ?

ચશ્માં લૂછીને એણે કાગળ આગળ વાંચ્યો -

'એ ભ્રમણા કરાવીને તમે સદાને માટે તો નથી ગયા ને ? પાછા આવવું તો છે ને ? ક્યારે આવવું છે ? મને કે વાર ધરાઇ ધરાઇને રડી લેવા ક્યારે દેવી છે ?

'પણ અરેરે ! ઘણી વાર એમ થાય છે કે તમે પોતે એ ભ્રમણા કરાવનાર, તમે તો સત્યના જાણભેદુ છો, એટલે કેમ કરીને આંહીં આવી સુખ પામી શકશો ?

'છોકરી - મારૂં પાપ, કમભાગ્ય જે કહો તે -ને ખોળામાં લઇને ભદ્રાભાભી જ્યારે જ્યારે બોલે કે 'અસ્સલ જાણે ભૈનું જ મોં !' ત્યારે મને શું થતું હશે, કલ્પી શકો છો?

'છોકરીને ધવરાવવાનું દિલ થયા વગર તો શાનું રહે ? થોડાક દિવસ તો મનને દબાવી દબાવી મારાં સ્તનો સૂકવી નાખવા મથેલી, પણ બાપુજીએ એવી ભ્રમણા પાથરી દીધી છે કે હું જ ભાન ભૂલી ગઈ છું. બાપુજી એવું એવું બોલે છે કે મને કલાકે કલાકે પાનો ચડે છે. ને છોકરી તો રાભડી રાભડી બની રહી છે.

'તમે એને જોશો ત્યારે શું થશે, એ બીકે કમ્પું છું. આ કંપારીનો સારો કે માઠો અંત ઝટ આવે તો સારૂં. માટે જ માગું છું કે વહેલા પાછા વળો !