પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચૌદમું
બારણાં ઉધાડ્યાં

આંધળા મામાજીએ સ્ટેશનની ટિકિટ-બારી પર ટિકિટો કઢાવી, તે અમદાવાદની નહોતી, નજીકના જ સ્ટેશનની હતી. એણે રૂપિયો વટાવી પૈસા પાછા ગણી લીધા ત્યારે એના અંધાપાએ દેવુને ચક્તિ કર્યો. એણે ગાડી-ડબાની ભીડાભીડ ભેદી બેઠક લીધી ત્યારે એની આંખો બે હોવાને બદલે જાણે ચાર બની ગઈ. એણે મીંચેલી આંખે જ બધું કામ લીધું. એના હાથ જ્યાં બૈરીઓ બેઠી હતી ત્યાં જ લાંબા થયા, અને 'મેર રે મેર મ'રા રોયા આંધળા !' એવું બોલતી સ્ત્રીઓ છેટે ખસી ગઈ. 'હશે બાપા ! આંધળો મુવો છું બેન !' એમ બોલી બોલી એણે સલામતીથી બેઠક મેળવી.

માર્ગમાં ટિકિટ તપાસનારો મળ્યો. આંધળા મામાજીએ ચડાપ ચડાપ ટિકિટો બતાવી. 'તમારે ક્યાં જવું છે સુરદાસજી ?' એવું પૂછનાર ટિકિટ-એક્ઝામીનરને એણે તડાક તડાક જવાબ દીધો 'અમદાવાદ જ તો.'

'આટિકિટ અમદાવાદની નથી.'

'ન હોય કેમ સાહેબ ? મેં રૂǀ. ચાર રોકડા આપ્યા છે.'

'એ તમે જાણો ને તમારા ગામનો ટિકિટ-માસ્તર જાણે. આ ટિકિટો તો ક્યારની પૂરી થઈ ગઈ.'