ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં બચ્યા અને સાચા જોશી ઠર્યાં !
પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા.
ઉક્ત દૃષ્ટાંતોથી કથનશૈલી એટલે શું અને તેનાથી વાર્તામાં કેવો ફેર પડે છે તેનો ખ્યાલ થોડોઘણો તો આવી શકશે જ. પ્રત્યેક વાર્તા કહેવા યોગ્ય સ્વરૂપમાં ન લાવવામાં આવે ત્યાં સુધી તે વાર્તા કથનશ્રવણના કામમાં આવી શકે નહિ. ઘણી વાર કહેવા યોગ્ય વાર્તાઓ પણ કહેનારની કલાબુદ્ધિમાં ન્યૂનતા હોવાથી અથવા વાર્તા લખનારની કલાદૃષ્ટિમાં ઊણપ હોવાથી તે વાર્તાઓ છેક બગડી જાય છે, ને તેને જ પુનઃ કહેવા યોગ્ય કરવાની તસ્દી લેવી પડે છે.
આવી બગડી ગયેલી વાર્તાઓના ઘણા નમૂના આપણને ઘણી ચોપડીઓમાંથી મળી આવે છે. આપણે અહીં એવી એક વાર્તાનું દર્શન કરાવીએ.
એક ગરીબ બ્રાહ્મણને પેટ સાત છોકરીઓ પડી હતી. તે રોજ ગામમાંથી ભીખ માગી લાવીને તેમનું પૂરૂં કરે. એક દહાડો તેને કોઈએ લોટ આપ્યો, તે લાવીને તેણે પોતાની બાઈડીને કહ્યું. મને વડાં ખાવાનું મન થયું છે, માટે આજે આ લોટનાં વડાં બનાવજે.
- ↑ *ટચુકડી બીજી સો વાતો. લેખક :- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.