લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૯૫
 

લોટ થોડો હતો, અને બધી છોકરીઓ વડાં માગે, તો તેમને પુરાં પણ ન પડે, તેથી તેમને વહેલી ઉંઘાડી દઈ તેણે વડાં તળવા માંડ્યાં. એક વડું કઢાઈમાં પૂર્યું, કે છમ છમ બોલવા માંડ્યું, તેથી એક છોકરી જાગી ઊઠી તે બોલી, કે છનનન ઝમ મા મને વડું ? તે વડું ખાઈ ગયા પછી બીજું તળવા માંડ્યું, તો બીજી છોકરી જાગી ગઈ. તેણે વડું માંગ્યું તે તેને આપ્યું; એમ એક પછી એક સાતે છોકરીઓ જાગી ને એક એક વડું ખાઈ ગઈ. લોટ ઘણો થોડો રહ્યો, તેથી તેમાં ચૂલાની રાખ ભેળવીને થોડાં વડાં તૈયાર કર્યાં. બ્રાહ્મણ ઘેર આવીને ખાવા બેઠો, તો વડાં કચડ કચડ બોલવા લાગ્યાં. તેણે કારણ પૂછ્યું, ત્યારે બાઈડીએ રોતાં રોતાં સાચી વાત કહી દીધી.

બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢ્યો. બીજે દહાડે તે બધી છોકરીઓને ગાડામાં ઘાલીને જંગલમાં મૂકી આવ્યો.

આ વાર્તામાં બાળવાર્તાની વસ્તુ છે પણ તેમાં બાળવાર્તાની ઢબ નથી એ જ વાર્તાને કહેવા યોગ્ય વાર્તા આ પ્રમાણે બનાવી શકાય.

મા ! મને છમ વડું.*[]
(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસે બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું તેણે બ્રાહ્મણીને કહ્યું : “આજ તો વડાં ખાવાનું મન થયું છે.”


  1. *ટચુકડી બીજી સો વાતો. લેખક :– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા