લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
વાર્તાનું શાસ્ત્ર-૧
 

એમાં વળી પવનનો ઝપાટો કહે મારું કામ.

કોઈના ભાર નહિ કે આવી રાતે બહાર નીકળી શકે.

એક છોકરો પોતાના ગામનો મારગ ભૂલેલો.

ક્યારનો બિચારો મારગ ગોતે પણ અંધારી રાત ને બધું પાણી પાણી થઈ ગયેલું, એમાં મારગ સૂઝે નહિ.

બિચારો આખે ડિલે તરબોળ થઈ ગયેલો.

ક્યારનો પલળતો હતો એટલે આખે ડિલે ટાઢ ચડી ગઈ હતી; દાઢી ડગડગતી હતી ને દાંત કડકડતા હતા.

બિચારો મનમાં ને મનમાં રોવા લાગ્યો ને કહે : “હવે હું કયાં જાઉં ?”

એટલામાં એણે એક ઝૂંપડી જોઈ.

ઝૂંપડી જોઈને મનમાં ને મનમાં કહે : “હાશ ! હવે કંઈક રસ્તો સૂઝશે.”

ઝૂંપડી તો પેલી દયાળુ માજીની હતી.

ધ્રૂજતો ધ્રૂજતો છોકરો ઝૂંપડી પાસે ગયો ને હળુક દઈને બોલ્યો : “અરે બાપુ ! કોઈ ઝૂંપડીમાં છે ? કોઈ ઝૂંપડીનું બારણું ઉઘાડોને ? ક્યારનો હું ટાઢે મરું છું. આ રાતની રાત પડી રહેવા દેશો તો પ્રભુ તમારું સારું કરશે. અત્યારે હું વરસાદમાં ક્યાં જઈશ ? હું ભૂલો પડી ગયો છું, બાપુ !”

દયાળુ ડોશી ઝડપ દઈને ઊઠ્યાં.

બારણાની ભોગળ એકદમ કાઢી નાખી અને ઝૂંપડીનું બારણું ઉઘાડ્યું.

છોકરાને જોઈ માજી કહે : “બાપુ, દીકરા ! આવ. આ તારું જ ઘર છેના. ભગવાને મને આવી રૂપાળી ઝૂંપડી આપી છે તે કોને માટે ? આવ બાપા ! અહીં બેસ.”