લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
વાર્તાનું શાસ્ત્ર-૨
 

સાધ્ય પણ છે. ઘણા એવા માણસો છે કે જે ફતેહમંદ નાટકકારો છે; એ જ એમનો જીવનવ્યવસાય છે ને એમાં જ એ પૂરેપૂરી સફળતા પામે છે. આવા માણસોને નાટ્યપ્રયોગની પ્રવૃત્તિ અત્યંત હિતકારક છે. આવા માણસોનાં અનુકરણો, કોઈ નકલ કરનાર કારકુનના કામની બરોબર નથી પણ એમને તો એ કામમાં ઉપરની વૃત્તિનું ભાન થાય છે; એમને તો એ અસલ કામ છે.

બધાં બાળકો નટો નથી હોતાં પણ ઘણાં બાળકો નટવૃત્તિમાં રસ લેનારાં હોય છે. કેટલાંએક બાળકો તો નટ જ જન્મેલાં હોય છે. જે બાળકો નટ જન્મેલાં હોય છે તેમને નાટ્યપ્રયોગ-પદ્ધતિનું બધું શિક્ષણ આપવાની યોજના થવી જોઈએ. તેમની અનુકરણ કરવાની શક્તિને ઉત્તમ દરજ્જે ચઢાવવી જોઈએ કેમકે એ વિષયમાં ઉત્તમ પ્રકારનું અનુકરણ એનું જ નામ નટનું વ્યક્તિત્વ છે. આથી શાળામાં નાટ્યપ્રયોગને સ્થાન આપી શકીએ છીએ. જીવનમાં જેમ આપણે અનુકરણને સ્થાન આપવું જોઈએ, તેમ શાળામાં નાટ્યપ્રયોગને સ્થાન આપવું જોઈએ. પણ જેમ અનુકરણથી માણસ વ્યક્તિત્વ ખોઈ ન નાખે તેવી કાળજી રાખવી પડે છે, તેમ જ નાટ્યપ્રયોગની પ્રવૃત્તિથી માણસ સાચો નટ થવાને બદલે નાટકિયો ન બની જાય તે જોવાનું રહે છે. બધા માણસો નટ બની જાય એ સંભવિત નથી, તેથી આપણે તેવી ઈચ્છા પણ ન કરીએ. પણ ઘણા આજન્મ નટો તેની કેળવણીના અભાવે માર્યા ન જાય તે તરફ આપણે લક્ષ આપવું જોઈએ. શાળામાં નાટ્યપ્રયોગને સ્થાન ન આપીએ તો આપણે કુદરતે સરજેલા નટોને મનુષ્યકૃતિથી મારી નાખીએ. વળી કેટલાએક એવા છે કે જેઓ જાતે નટ થઈ શકતા નથી પણ નાટ્યરસનો સ્વાદ લઈ શકે છે, તેમની કેળવણીનો, તેમની રસવૃત્તિ વિકસાવવાનો પ્રબંધ