આવશ્યક છે. આમ નાટ્યપ્રયોગને શાળામાં આવશ્યક સ્થાન મળે છે. નાટ્યપ્રયોગને માટે ઘણાં સાધનો છે પણ તેમાં વાર્તા સૌથી ઉત્તમ સાધન છે. નાટકમાં નટ હંમેશાં પોતાને ગમતી બીજાની વૃત્તિઓને પોતાનામાં વ્યક્ત કરવા મથે છે. જેટલા પ્રમાણમાં નટ અન્યની વૃત્તિઓને, ગુણોને અને લાગણીઓને પોતાનામાં સ્પષ્ટપણે વ્યક્ત કરી શકે છે તેટલા પ્રમાણમાં નટનું કામ ફતેહમંદ ગણાય છે. ઉચ્ચ કોટિના નટોમાં આ પ્રકાર સ્વાભાવિક છે. જે નટ મૂળ વસ્તુના આત્માને પોતાનામાં સંપૂર્ણપણે પ્રગટ કરી શકે છે તે નટને પોતાને પણ આત્મભાન થાય છે, તેમ જ તેના પ્રેક્ષકોને પૂર્ણ આનંદ મળે છે. નાટકની સફળતા પણ એમાં જ છે કે નાટ્યવૃત્તિવાળા આત્માઓને તેમની વૃત્તિ દ્વારા આત્માનું ભાન કરાવવું. બાળક જ્યારે વાર્તાઓ સાંભળે છે ત્યારે તેની આંખ આગળ વાર્તાનાં પાત્રો ખડા થાય છે. તેને વાર્તાના પાત્રો જીવતાંજાગતાં ભાસે છે ને તેમની લાગણીની સાથે પોતાની લાગણીનો એકમેળ તેને અનુભવગમ્ય બને છે. જે બાળકો નટ હોય છે તેમને એ વાર્તાનાં પાત્રોના ભાવો, લાગણીઓ વગેરે એટલાં તાદૃશ અને ચેતનાભર્યાં લાગે છે કે તે તેમની સાથે એકમયતા અનુભવે છે એટલું જ નહિ, પણ તે તે પાત્રોની લાગણીઓ વગેરેને વ્યક્ત રીતે અનુભવવા ચાહે છે. આમાંથી તે નાટક કરવા પ્રેરાય છે. કેળવણીમાં કામ કરનારા ઘણાઓનો અનુભવ છે કે બાળકો વાર્તાઓ સાંભળ્યા પછી અથવા એકાદ નાટક જોયા પછી તરત તેને પોતાની જાતે અનુભવવા-ભજવવા મંડી પડે છે. વાર્તા સાંભળનાર નટબાળકને વાર્તાનાં પાત્રો એવાં તો અસર કરે છે કે વાર્તાનું નાટક ભજવ્યા વિના પણ તે પાત્રોના ભાવો તે જ્યાં ને ત્યાં વ્યક્ત કરે છે. કોઈ બાળક વાર્તાના પાત્રને