લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા અને નાટ્યપ્રયોગ
૨૧૩
 

બધાને સામેલ કરવાને યુક્તિઓ રચવાની નથી. કિન્ડરગાર્ટન શાળામાં બધાં બાળકો આસ્તે આસ્તે નાટકોમાં રસ લે અને જોડાય એવી સ્થિતિ ઊભી કરવાનો મોહ છે. આ મોહ વ્યક્તિસ્વાતંત્ર્યની શાળામાં ન હોવો જોઈએ. નાટ્યપ્રયોગોનો એટલો જ ઉદ્દેશ શિક્ષક સમીપ રહેવો જોઈએ કે જે બાળકોમાં નટવૃત્તિ હોય તેમાં તેમનો પરિપૂર્ણ વિકાસ થાય, જે બાળકોમાં નાટ્યપ્રયોગો માટે રુચિ હોય તેમની તે રુચિ વધારે દૃઢ થાય ને જે બાળકોમાં નાટ્યપ્રયોગોના ખોટા ખ્યાલો હોય તે દૂર થાય.

એક એ વાત પણ લક્ષ બહાર ન જવી જોઈએ કે નાટક જેમ એકલી કલ્પના નથી, તેમ તે કેવળ અતિશય સ્થૂળતા પણ નથી. અતિશયતામાં નાટકની કળાનો નાશ થાય છે. વધારે પડતી શોભા, દમામદાર વેશ, મોટા પ્રમાણમાં પાઘડાં અને પૂછડાં, એ નાટકના આત્માને હાનિકારક છે. નાટક એ કલાનો વિષય હોઈ તેમાં સર્વાંગે સમતોલપણું સચવાવું જોઈએ.