લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ
૨૩૯
 

છે તેટલું મોટું જૂઠાણું કદી ટકી શકતું નથી. નીતિશિક્ષણમાં પણ એક યુક્તિ છે કે જૂઠા બાળકને ખૂબ જૂઠું બોલવા દીધા પછી કહી દઈએ કે તમારું જૂઠું અમે જાણીએ છીએ, જૂઠું બહુ બોલ્યા, હવે કંઈક સાચું બોલો, એટલે બાળક તરત જ સાચું બોલવા માંડે છે અને જૂઠું બોલવાથી લોકો ઠગાતા નથી એમ સમજી જાય છે. આવી જ રીતે વાર્તાઓ કે જેના કપાળ ઉપર જ લખેલું છે કે અમે ખોટા છીએ, તે વાર્તાઓ બાળકને ઠગી શકતી નથી, અને તેથી તેમને અસત્યાશ્રયી થવાને પ્રેરી શકતી નથી.

એક વાત સાચી છે કે માણસને વાર્તામાંથી અસત્યસેવનનો માર્ગ જડી આવે છે. યુક્તિપ્રયુક્તિની ગલીકૂંચી ઘણી વાર બાળકને વાર્તા સુઝાડી દે છે. પણ તેમાં વાર્તાનો દોષ છે તેના કરતાં વાર્તાના કથનનો દોષ છે. દુનિયામાં અનેક જાતના માણસો છે, જૂઠા તેમ જ સાચા, નીતિમાન તેમ જ અનીતિમાન, ભલા અને ભોળા, તેમ જ લુચ્ચા અને કપટી; પણ તે માણસોને આપણે નિરંતર ભયરૂપ ગણતા નથી. તે માણસો કોઈ કાળે દુનિયામાંથી સદંતર દૂર થઈ જાય એ માન્યતા ખરી નથી. આપણું કર્તવ્ય એવાઓની વચ્ચે રહીને પણ, એમને ઓળખીને પણ, આપણું જીવન શુદ્ધ સન્માર્ગે ચલાવવાનું છે. આપણે હંમેશાં એમ માનતા નથી કે ગામમાં ચોરો વસે છે માટે આપણે ચોર થઈ જઈશું કે ખૂની લોકો ખૂન કરી બેસશે. જો એમ જ હોત તો દરેક ન્યાયાધીશ ખૂની, લૂંટારો કે ચોર થઈ જ ગયો હોત. ખરી વાત તો એ છે કે એવા લોકો આપણને હંમેશાં ધડારૂપ રહે છે, ને અમુક અંશે આપણને સન્માર્ગે દોરે છે. વાર્તાઓનું પણ તેવું જ છે. વાર્તામાં બધા ગુણદોષોનું આલેખન હોય છે. પણ વાર્તામાં હંમેશાં એવો પણ સ્વભાવ છે કે ગુણોને તે હંમેશાં ચડાવે છે અને દુર્ગુણોને