સમાજ દંભી બનેલ છે. આવે વખતે સમાજને ઢોંગમાંથી બચાવવા માટે લોકસાહિત્ય તરફ સમાજની નજર પડે તેવો પ્રબંધ કરવાની આવશ્યકતા રહે છે. આવે વખતે સમાજે ઊભા કરેલા કૃત્રિમ સાહિત્યની પોકળતા તેની પાસે ઉઘાડી પાડવાની જરૂર છે. એકવાર જો સમાજ પોતાની સાચી સ્થિતિ સમજી જાય તો તે જ ક્ષણથી સમાજ અને તેના લોકસાહિત્યમાં સ્વાભાવિકતા અને નિખાલસતા આવી જાય; એટલું જ નહિ પણ તેનું શિષ્ટ સાહિત્ય પણ સાચા જીવનના પાયા ઉપર રચાય.
લોકસાહિત્ય શિષ્ટ સાહિત્યનું ઉત્પત્તિકારણ છે. આથી જ જેટલું લોકસાહિત્ય નિર્મળ તેટલું જ શિષ્ટ સાહિત્ય પવિત્ર અને બળવાન હોય છે. ગમે તેટલો દંભ કરે તોપણ બગડેલી પ્રજાનું લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય બગડેલાં જ પ્રગટ થઈ જવાનાં. આપણે લોકજીવનમાં ક્યાં છીએ એ વિચારથી પણ પ્રેરાઈને લોકસાહિત્યને એકઠું કરવાની આપણી પ્રવૃત્તિ અતિ ઉપયોગી છે.
લોકસાહિત્ય ક્યાં રહે છે એ પ્રશ્ન હવે પૂછવાની જરૂર નથી. જ્યાં જ્યાં સાચું લોકહૃદય હજી પણ ધબકે છે ત્યાં ત્યાં લોકસાહિત્ય અમર અક્ષરે લોકસ્મૃતિમાં લખાયેલું પડ્યું જ છે. રાજદરબારમાં શિષ્ટ સંગીત છે પણ લોકસંગીત તો એકાદ માર્ગી સાધુની ભજનમંડળીના તંબૂરાની ધૂનમાં અને માતાજીનાં મંજીરાંના રણકારમાં છે. એકાદ ગાયિકાના ગાનમાં શાસ્ત્રીય સંગીત છે પણ લોકસંગીત તો અજવાળી રાતે રાસડા લહેકાવતી ખવાસણો કે લગ્નગીત ગાતી સપારણોના ગળામાં છે. પંડિતોની સભામાં કે પુરાણીની કથામાં શિષ્ટ કથાવાર્તાઓ છે, પણ લોકવાર્તાઓ તો ભાટચારણની જીભ ઉપર છે કે માણભટની માણ ઉપર છે કે માતાની હૂંફાળી સોડમાં છે કે ગોઠિયાની છાની છાની વાતોમાં છે.