લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
વાર્તાનું શાસ્ત્ર-૨
 

કહે છે તો વઢવાણની માધાવાવ બીજી વાત કહે છે; ગુંદીકોળિયાકનાં ખંડેરો ઐતિહાસિક વાર્તાઓ કહે છે તેનાથી વધારે લોકવાર્તાઓ કહે છે. રૂવાપરી માતા એક લોકવાર્તાની દેવી છે; દૂણો બીજી લોકવાર્તાનું સ્થળ છે; ઘોઘા અને પીરમમાં કેટલાયે મોખડાજીની વાતો ચાલે છે; ગિરનાર અને બરડાને પથ્થરે પથ્થરે એક એક સ્થાનબદ્ધ ઐતિહાસિક દંતકથા કોતરેલી છે. પથ્થર ઉપરથી કાગળ ઉપર એ કથાઓ જ્યારે આવશે ત્યારે આપણે તેનો મર્મ સમજશું.

(૧૪) ભૂતપ્રેતની વાતો

રાક્ષસો અને ભૂતપ્રેતની વાતો દરેક દેશના લોકસાહિત્યમાં દેખા દે છે. ગુજરાતનું માનસ પણ ભૂતપ્રેત વિનાનું નથી. ભૂતપ્રેતની વાતો માટે લોકસાહિત્યે પૌરાણિક ધર્મશાસ્ત્રોનો ઉપકાર માનવો ઘટે છે. દરેક ધર્મે પોતાનું બળ સ્વર્ગ અને નર્કની ભાવના ઉપર રચવાનો એક પ્રયત્ન કરેલો છે. એ પ્રયત્નમાંથી આ ભયંકર લોકસાહિત્ય પ્રગટ્યું છે. બાબરાભૂતને તો આપણા શિષ્ટ સાહિત્યમાં પણ કરણઘેલાએ અમર કર્યો છે. વળાનો મામો, થાનનો બાંડિયો બેલીને એવા ઘણા ભૂતો આજે પણ લોકોની અક્કલને ભમાવી રહ્યા છે. આટલા સુધર્યા છીએ એમ કહેવાનો દાવો કરીએ છીએ; વેદવેદાન્ત ધર્મને માનવાવાળા હોવાનો હક્ક ધરાવીએ છીએ; છતાં આ ભૂતપ્રેતની વાતોમાં માનનાર અને રસ લેનાર જનતાનું માનસ હજી જંગલી પ્રજાના માનસથી ઊંચે ચડ્યું નથી કે તેના તરફ વિચારભરી આપણી નજર ગઈ નથી એ આશ્ચર્ય જેવું છે. અથવા તો એ બધી યોનિઓને સાબિત કરવા માટે જે વૈજ્ઞાનિક બુદ્ધિબળ ને નીડરતા આપણામાં જોઈએ તેની ખામી આપણે બતાવી આપી છે.