પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાય. હરાયાં ઢોર પણ રોજ નવાંનોખાં આવે છે, સમજી ગગી !’ કહીને કીલાએ ઉમેર્યું: ‘સ્ટેશન માસ્તરની ને ટિકિટચેકરનીય વારે ઘડીએ બદલી થયા કરે. સ્ટેશન ઉપર કોઈ ચીજ કાયમ નથી રહેતી. ફક્ત આ કીલો, દાવલશા ફકીર ને ભગલો ગાંડો કાયમના અડિંગા લગાવીને બેઠા છીએ.’

‘પણ તમે જે માણસને મોકલ્યો તો એનું સાચું નામઠામ ક્યાંયથી જાણવા મળે ખરું ?’ ધીરજે પૃચ્છા ચાલુ રાખી.

‘એવા મૂલી-મજૂરનાં નામઠામ જાણવાની તારે શું જરૂર પડી, ગગી ?’

‘મારે જરૂર નથી પડી—’

‘તને નહીં તો કોને ? મનસુખભાઈ શેઠને ?’

‘ના, એનેય નહીં—’

‘તો પછી ?’

હવે આ નાજુક પ્રકારની પૃચ્છા આગળ લંબાવવી કે કેમ એ અંગે ધીરજ થોડી વાર વિમાસણમાં પડી ગઈ. પણ જિજ્ઞાસાનું જોર કેમેય કર્યું નાથી શકાયું નહીં તેથી એ આગળ વધી:

‘વાત જરાક પેટમાં રાખવા જેવી છે—’

‘એમાં આ કીલાને કહેવું ન પડે, ગગી !’

કીલાએ ધીરજને ‘ગગી, ગગી !’ કહીને અત્યાર સુધીમાં એટલી તો આત્મીયતા કેળવી નાખી હતી કે અત્યારે ધીરજનો ક્ષોભ ઓછો થઈ ગયો.

‘વાત એમ છે, કે એ માણસ અમારી ખડકી લગી આવીને સરસમાન મૂકી ગયો તે દિવસથી…’

ફરી ધીરજ અટકી ગઈ.

‘તે દિવસથી શું થયું છે ? બોલને ગગી, એમાં ગભરાય છે શું કામે ?’

ચંપાનો વર
૨૬૩