પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૬

કોથળીનો ચોર કોણ?
 


ઓતમચંદ પ્રાતઃકર્મોથી પરવારીને પેઢી ઉપર ગયો અને દુકાન ઉઘાડીને ગાદીતકિયા ઉપર બેઠો, ત્યાં એક બિહામણી વ્યક્તિ દુકાનના ઉંબરે આવી ઊભી. આવનાર માણસ વયોવૃદ્ધ તો હતો જ, પણ એનો લઘ૨વઘરિયો પહેરવેશ જાણે કે એના વાર્ધક્યમાં ઉમેરો કરતો હતો. એણે જે ડૂચા જેવી પાઘડી પહેરી હતી એને કોઈ જાતનું કાપડ કહેવા કરતાં લીરા-ચીંદરડાંનો લબાચો જ કહેવો યોગ્ય ગણાય. અંગ ઉપરનાં લૂગડાં પણ એવાં તો જર્જરિત હતાં કે એમાં ઉપરાઉપરી ચડેલાં થીગડાં વિનાનું કોઈ સ્થળ શોધવું મુશ્કેલ હતું. અને મોઢા ઉપર એવી તો મૂર્તિમંત કંગાલિયત દેખાતી હતી કે પહેલી નજરે તો એ બાર-બાર વરસનો લાંબો દુકાળ વેઠીને આવ્યો હોય એવી જ છાપ પડે.

પહેલી નજરે તો ઓતમચંદ પણ એને ઓળખી ન શક્યો તેથી આગંતુકે દીનભાવે પૂછ્યું:

‘ભૂલી ગયા, શેઠ? અણસારેય નથી ઓળખાતો?’

ઓતમચંદ વધારે મૂંઝવણ અનુભવીને આગંતુકની ઓળખ પાડવા મનમાં મથામણ કરી રહ્યો. એ જોઈને પેલા માણસે પોતાની વેદના વ્યક્ત કરી:

‘ક્યાંથી ઓળખાઉં? દીદાર જ સંચોડા બદલાઈ ગયા! વેળા પડે તંયે માણસનો ચહેરોમોરોય નહીં વરતાતો હોય?’

આગંતુકના દીદાર કે ચહેરોમોરો તો ઓતમચંદ ન વરતી શકયો પણ આટલી વાતચીત પછી પરિચિત અવાજ ને રણકો ઓળખાઈ આવતાં એ એકાએક બોલી ઊઠ્યો:

૩૭૦
વેળા વેળાની છાંયડી