પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખાણિયામા રેડીને થઈ ગયો હાલતો. ને કાળામેંશ ઊંડા ખાણિયાના અંધારામાં કોથળી અંદર જ દટાઈ રહી... તે દીની ઘડીથી આજના દી લગી—’

સાંભળીને લાડકોરે હર્ષભેર કહ્યું, ‘નસીબદાર કે એમ કરતાંય નાણું સચવાઈ રહ્યું—’

‘નાણું સચવાઈ રહ્યું, પણ સા૨૫ લૂંટાઈ ગઈ.’ દકુભાઈ જેવા શઠ માણસના સહવાસમાં રહ્યા છતાંય સમરથ અત્યારે કોથળીપ્રકરણ અંગે પશ્ચાત્તાપ અનુભવી રહી હતી. અનાયાસે જ એને હૈયાની વાત હોઠે આવી ગઈ, ‘આ ખાણિયે રૂપિયા સંઘરી રાખ્યા, પણ ઘરની ખાનદાની ખાલી કરાવી નાખી—’

લાડકોરને આવા અસંબદ્ધ ઉદ્‌ગારોમાં કશી સમજ પડે એમ નહોતી તેથી એ તો મોઢું વકાસીને ભોજાઈ ત૨ફ તાકી જ રહી.

ગુનેગાર સમરથને લાગ્યું કે નણંદની આ વેધક નજર મારા ઉપર મૂંગું તહોતમ ઉચ્ચારી રહી છે, તેથી એ એવી તો ગભરામણ અનુભવી રહી કે આપમેળે જ બોલી ઊઠી:

‘બેન, અમે તમારાં ગુનેગાર છીએ. ન કરવા જેવાં કામ અમે અભાગિયાં કરી બેઠાં છીએ.—’

સાંભળીને લાડકોરે વળી વધારે આશ્ચર્ય અનુભવ્યું આ બધું શું ચાલી રહ્યું છે! સમરથની સૂધસાન ઠેકાણે છે કે નહીં? કોથળીની સાવ વિસાત વિનાની વાતમાંથી આટલું મોટું વતેસર શા સારુ કરી રહી છે? કે પછી કાંઈ આંધળે બહેરું કુટાઈ રહ્યું છે?

લાડકોર આવી વિમાસણ અનુભવતી હતી ત્યારે સમરથનો ચિત્તપ્રવાહ જુદી જ દિશામાં વહેતો હતો. એને થયું કે ઓતમચંદ ઉપ૨ કોથળી ચોરવાનું જે આળ ઓઢાડેલું અને માથેથી ઢો૨મા૨ મારેલો એની રજેરજ વિગત નણંદ તો જાણતાં જ હશે, એથી એણે પાણી પહેલાં જ પાળ બાંધવાની ઢબે કબૂલત કરવા માંડી.

આગલા ભવનો વેરી
૪૦૯