પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૪૧

હર્ષ-શોકની ગંગાજમના
 


રોંઢો નમતાં સુધીમાં ઘોડાગાડી ખળખળિયાને કાંઠે આવી પહોંચી, એટલે વશરામે લાડકોરને કહ્યું, ‘ઘોડો તરસ્યો થયો હશે, જરાક પોરો ખવરાવીને પાણી પાઈ દઉં?’

‘સારી પટ પાઈ લ્યો. પછી વાઘણિયા લગી ક્યાંય પાણીશેરડો નહીં આવે,’ લાડકોરે કહ્યું, ‘આ મૂંગા જીવને ભૂખતરસ લાગે, તોય કાંઈ બોલી થોડો શકે છે?’

વશરામે ઘેઘૂર આંબલી તળે ઘોડાગાડી, છોડી નાખી. લાડકોર અને બટુક ક્યારનાં ગાડીમાં બેઠાં બેઠાં અકળાઈ ગયાં હતાં તેથી પગ છૂટો કરવા નીચે ઊતર્યાં.

વશરામ ઘોડાને નદીના હેઠવાસ પટમાં દોરી ગયો.

ઈશ્વરિયેથી ઉશ્કેરાઈને નીકળેલી લાડકોર હજી પણ ધૂંધવાયેલી જ હતી. દકુભાઈ ઉપરનો રોષ હજી શમ્યો નહોતો. તેથી જ, નદીકાંઠે ઊડતાં અપરિચિત પક્ષીઓ વિશે બટુક ક્યારનો બાને પૂછપરછ કરી રહ્યો હતો, છતાં બા તરફથી કશો ઉત્તર નહોતો મળતો.

ઉદ્વિગ્ન લાડકોર અત્યારે દકુભાઈ કરતાંય વધારે તો ઓતમચંદ ઉપર મનમાં રોષ ઠાલવી રહી હતી. પતિએ આજ સુધી આ બાબતે કશી વાત કેમ કરી નહીં?’ પોતા ઉપર આવાં ઘોર વીતક વીતી ગયાં છતાં આજની ઘડી સુધી એક હ૨ફ પણ કેમ ઉચ્ચાર્યો નહીં? ઊલટાની દકુભાઈની હેતપ્રીતના મોટા મોટા મલાવા કરી કરીને મને ભરમમાં નાખી દીધી... એ ભ૨મમાં રહીને જ હું મોટે ઉપાડે ઈશ્વરિયે આવી પૂગી... ને ભરમ ભાંગ્યા પછી હવે પાછી વાઘણિયે જાઉં છું—’

હર્ષ-શોકની ગંગાજમના
૪૧૯