પૃષ્ઠ:Veranman.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
વેરાનમાં
 

અને-અને-એ નાળીની જામગરી સળગી ચૂકી હતી.

સળગતી જામગરી સમેત નાળી ઉઠાવીને ત્રણે જુવાન દોડ્યા, બિલ્લી-પગલે દોડ્યા. લપાતા લપાતા સામેથી ચાલી આવતી ગોળીઓની ઝડીઓને ચુકાવતા ગયા. અને છેક કિલ્લેબંદીને પહોંચી ગયા ત્યારે અહીં જામગરી પણ નાળીના છેક કાન સુધી પહોંચી ગઈ એક જ મિનિટ મોડું થયું હોત તે નાળીનું ફાટવું નિરર્થક જાત.

નાળી ફાટી, તોપ ફાટે તેટલો મોટો ભડાકો થયો, ચીનાઈ કિલ્લેબંદીના ફુરચા થયા. ત્રીસ ફુટનો માર્ગ મોકળો પડ્યો.

એ માર્ગેથી ચીનાઈ સૈન્ય ઉપર ધસતા જાપાની સૈનિકો ત્રણ માનવીઓનાં વેરણ છેરણ થઈ પડેલાં અંગો જોતા ગયા.

ત્રણેનું મૃત્યુ રાષ્ટ્રપ્રેમના બલિદાન રૂપે ઉજવાયું, ત્રણેનાં બાલબચ્ચાં માટે પ્રજાએ ગંજાવર ફાળા કર્યા. ત્રણેની માતાઓને શહેનશાહ મિકાડોએ વીરોની, દેશભક્તોની માતાઓ કહી ધન્યવાદ મોકલ્યા, ત્રણેની શહિદીનું સ્મારક જાપાની પ્રજાની ચિરવદનાનું સમાધિમંદિર બન્યું : “ત્રણ જીવતા ગડૂદિયા.”

ત્રણ જીવતા ગડૂદિયા ! ત્રણ વીરોનું આત્મસમર્પણ ! ત્રણ સિપાહીઓની રાષ્ટ્રભક્તિ !

કોને માટે? શાને માટે ? માતૃભૂમિના કયા ઉગારને માટે ?

નહિ-એક નિરપરાધી પાડોશી રાષ્ટ્રના સંહારને માટે :