પૃષ્ઠ:Vevishal.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખલાલને આ વાત જો કોઈ બીજાએ કરી હોત તો એને મશ્કરી લાગત,બનાવટ લાગત. દરિયામાં તરફડિયાં મારતો માણસ પોતાના પગ હેઠળ ઓચિંતી મળતી ભૂમિને ઘડીભર મગરમચ્છની પીઠ માનીને વધુ ભયભીત બને તેવી ભયભરી મનોદશા સુખલાલે પણ અનુભવી.

"તમે એને મારી વાત કહી?" એને ડરતાં ડરતાં પૂછ્યું. મનમાં થયું કે કહ્યું ન હોય તો પાડ પ્રભુનો! મને વાસણોની ફેરી કરતો સાંભળીને રખે ક્યાંક સુશીલાનું દિલ બદલાઈ ગયું હોય.

"મેં તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મેં કહ્યું કે તારે જલદી પરણવું છે તે માટે તો તું તનતોડ ઉદ્યમ કરી કમાવા નીકળ્યો છે. એણે તો એ સાંભળીને ફાળ ખાધી. એ થોડી વાર તો વિચારમાં પડી ગઈ. એણે મને અચકાતાં અચકાતાં પૂછ્યું કે, 'પરણવા માટે પૈસા ભેગા કરે છે ? કોને પરણવા માટે ? કોઈ બીજે ઠેકાણે પરણવાનો છે?' હું શો જવાબ આપું ? તું એવો મારો કયો સગો કે તારા પેટની રજે રજ વાત તું મને કરી જતો હો ! શી બેવકૂફી ! શી વિચિત્રતા ! કોણ તું ! કોણ હું !

"હું ધંધે ચડ્યો છું એ એને ગમ્યું કે ન ગમ્યું?" સુખલાલનો આ સવાલ સંગીતની મીંડ સમો નીકળ્યો.

"એ પૂછતી હતી કે, વેચતાં આવડે છે? મેં કહ્યું કે નથી આવડતું, પૂરો બેવકૂફ છે. પણ એને છેતરવાનું તો ખુદ ઘરાકનું જ દિલ નહીં ચાલે એવો એ પરાણે વહાલો થઈ પડશે."

સુખલાલ નીચું જોઈ ગયો. થોડી વારે એ બોલ્યો : " એ ક્યાં મળે?"

"બીજે ક્યાં વળી ? એ જ્યાં રહેતી હોય ત્યાં !"

"તમે એને મળવાનાં છો?"

"કદાચ એ માંદી પડે ને મને તેડાવે તો. પણ હું નર્સ તરીકે ઘણી લાગણીહિન ને કડક છું, એટલે મને તો એ શાની જ તેડાવે ?