અત્યારે અમરતે ધાર્યું હતું કે પોતે કરેલી આ પ્રશસ્તિથી ચતરભજ રીઝશે અને મારા રચેલા કૌભાંડમાં ભાગીદાર બનશે. પણ ચતરભજ આજે જુદો નિર્ણય કરીને આવ્યો હતો. બોલ્યો :
‘ભારાડી થયા વિના તો કૂબાની ભાળ મને ક્યાંથી લાગી હોત ?’
‘એલા હજી એ વાતનો સગડ નહિ મેલે કે ?’
‘શું કામ મેલું ? તમે આ પેઢીને પચાવી પાડવાનો સગડ હજી મેલો છો, તે મને શિખામણ આપવા નીકળ્યાં છો !’
‘એ વાતનો તારે ગામગોકીરો કરવો છે ? શું વિચાર છે ?’
‘હા જરૂર પડે તો કદાચ કરવોય પડે. આ તો તમે ફૂલ ડુબાડીને પથ્થર તરાવવા જેવું કરો છો.’
‘આ અમરતમાં તાકાત છે, ફૂલને ડુબાડવાની ને પથ્થરને તરાવવાની. આ એક શું આવાં તો એકવીશ ફૂલ તારી નજર સામે ડુબાડી દીધાં ને ઘણાય પથ્થરને તરતા કરી દીધા.’
‘પણ હવે આ એક પથ્થરને તો નહિ જ તરાવી શકો ગામની આંખમાં…’
‘ગામ તો ગાલાવેલું કહેવાય. એને ઊઠાં ભણાવવાં એમાં તે કઈ મોટી વાત ?’
‘પણ આ ચતરભજ જીવતો છે ત્યાં સુધી આ વાતને તમે દાટી શકશો નહિ.’
‘જોયો જોયો હવે ચતરભજને ! ચતરભજ વળી કઈ વાડીનો મૂળો ?’
‘એ તો હું તમને ખબર પાડી દઈશ કે ચતરભજ કઈ વાડીનો મૂળો છે. થોડા દિવસમાં જ તમને જાણ થશે કે આ ચતરભજ કોણ છે.’
‘જાણું જ છું, ચતરભજ એટલે આભાશાની પેઢીનો ઓશિયાળો વાણોતર, આ અમરતની ઓળખાણથી મુનીમના હોદ્દા