પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિમલસૂરીની સલાહ
૫૯
 

 આભાશાને ત્યાં ખેંચી ગયા.

‘જરાય અંતરપટ ન રાખશો શાહ ! ગૃહસ્થ જીવનમાં બનાવો તો બને જ છે…’ વિમલસૂરીએ આભાશાનો સંકોચ ઓછો કરવા માંડ્યો હતો.

આભાશાને અત્યારે લાગ્યું કે છજાના ૫થ્થરને પણ કાન છે.

તેમણે અત્યંત ધીમા અને ત્રુટક અવાજે તે દિવસનોને એમી અને રિખવવાળો પ્રસંગ આચાર્યને કહી સંભળાવ્યો. તેમની માન્યતા તો એવી હતી કે આ પ્રસંગ સાંભળીને આશ્ચાર્યશ્રી આશ્ચર્યચકિત થઈ જશે; પણ બન્યું એવું કે આ બનાવ તો અગાઉથી જ જાણી લીધો હોય, પામી ગયા હોય, કશુંક ધારેલું જ બન્યું હોય, એટલી આસાનીથી, મોંની એક પણ રેખા બદલવા દીધા વિના વિમલસૂરી સાંભળ્યે ગયા, અને સાંભળ્યા પછી પણ પૂર્વવત્ પૂર્ણ સ્વસ્થતા જાળવી બેઠા રહ્યા તેથી તો આભાશાને પણ ભારે કૌતુક થયું. તેમણે આશા રાખી હતી કે આચાર્યશ્રી રિખવ અંગે, એના આ આચરણ અંગે કશીક ટીકા કરશે, પણ એ માન્યતા પણ ખોટી પડી. વિમલસૂરી તો જાણે કે કશું સાંભળ્યું જ નથી, અથવા તો જે સાંભળ્યું એમાં કશું નવીન કે અસામાન્ય ન હોય એમ આંખના મટકામાં પણ ફેર પડવા દીધા વિના સામી ક્ષિતિજે ટમટમતા શુક્રતારક ઉપર જ નજર નોંધી રહ્યા હતા. એકબીજા ગ્રહો પોતપોતાના પારસ્પરિક યુગથી પામર મનુષ્યોની કેવી દશા કરે છે, કેવા નાચ નચવે છે, એ બધી લીલાઓનું એક અચ્છા દાર્શનિકની અદાથી જાણે નિરીક્ષણ કરી રહ્યા ન હોય !

શિયાળાના સ્થિર અને શાન્ત સમુદ્ર જેવી વિમલસૂરીની નિશ્ચય મુખમુદ્રા સામે કેટલીય વાર સુધી મૂંગા મૂંગા તાકી રહ્યા પછી છેવટે આભાશાએ જ એ મૌન તોડ્યું. અત્યંત ક્ષોભ સાથે તેમણે પૂછ્યું :

‘ભગવંત, આવી વાત કરીને હું થકી આપની કાંઈ અશાતના