પૃષ્ઠ:Yugavandana.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી સલામ
[હરિજનો માટે પૂના ખાતે મંડાયેલા મહાત્મા ગાંધીજીના

પહેલાં અનશનવ્રતના સપ્તાહ વખતે.]

[ઢાળઃ ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ]


સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી !
મળાયું ન તેને સહુને માફામાફ કે'જો, ને
રુદિયામાં રાખી અમને રે'જો હો...જી !

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પા૫દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી !
— સો સો રે સલામુંo

કીધાં ખાખ ખાંડવવનને[૧] પાંડુ તણા પુત્ર તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી :
આદુનાં નિવાસી એ તો આ રે આ ભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી.
— સો સો રે સલામુંo

રઘુપતિ[૨] રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટું હો...જી :
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી !
— સો સો રે સલામુંo


  1. ૧. અર્જુને ખાંડવવન સળગાવીને સર્પોને નહિ પણ 'નાગ' નામની અનાર્ય માવનજાતિને ભસ્મીભૂત કરી હતી – કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા સારુ જ.
  2. ૨. બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યો કે, શમ્બૂક નામના એક શૂદ્રે તપશ્ચય માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે ! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.
♣ યુગવંદના ♣
૩૯