પૃષ્ઠ:Yugavandana.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'યુગવંદના'નો અનુગામી 'એકતારો' નામે કવિતાસંગ્રહ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.

બાલ-કિશોરોનાં ગીતોના 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ' એ બે સંગ્રહોને એક જ આવા પુસ્તકરૂપે મૂકી આપવાની મેં પ્રથમાવૃત્તિ વખતે સેવેલી આશા ફળી નથી. એ નાનકડા સંગ્રહોની બહોળી ઉપયોગિતાને ક્ષતિ થશે એ બીકે નવી આવૃત્તિઓ જેમની તેમ ચાલવા આપી છે. આથી મને લાભ એ છે કે ‘યુગવંદના' જેવા મોટા સંગ્રહોને એની મોટી કિંમત વગેરેને કારણે ન પહોંચી શકનાર બહોળા જનસમૂહમાં પેલી બચુકડી પુસ્તિકાઓ છૂટથી ઘૂમી શકે છે. પણ મને ગેરલાભ એ થયો છે કે મારી મૂલવણી કરવામાંથી એ ‘વેણીમાં ફૂલ' અને કિલ્લોલ'નાં ગીતોને મારી વધુ પ્રિય કૃતિઓ લેખે નિગાહમાં લેજો.

રાણપુર : ૧૫-૬-'૪૨
ઝ૦ મે૦
 
[પહેલી આવૃત્તિ]

મારાં જૂનાં ગીતો છૂટીછવાઈ ચોપડીઓમાં વેરાયેલાં પડ્યાં હતાં, નવાં પણ રચાયાં હતાં, સર્વનો એકસામટો સંગ્રહ આ ગીતોના જે પ્રેમીજનો છે. તેમની સગવડ મુખ્યત્વે ધ્યાનમાં રાખીને કરું છું. સાથેસાથ, આ યુગની કવિતાને વિવેચકદ્રષ્ટિથી તપાસનારાઓને પણ આ ગીતો સુલભ કરી આપવા નેમ રાખી છે.

આ બધાં જ ગીતોનો એક સંગ્રહ એના ખરીદનારાઓને અકળાવશે એવું વિચારી 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ'માંનાં બાલ-કિશોરોનાં ગીતો આમાંથી બાતલ રાખ્યાં છે. એનો જુદો સંગ્રહ કર્યો છે. એ પણ બહાર પડશે એટલે મારાં ગીતોને એકસાથે વસાવી લેવાનું કામ પ્રેમીઓને સરળ પડશે.

કેટલાંક ગીતો પ્રાસંગિક છે, એટલે પ્રસંગનો નિર્દેશ માગી લે છે. વળી ગીતો રચ્યાની સાલ, કયાં ગીત સ્વતંત્ર, કયાં સૂચિત અને કયાં અનુવાદિત – વગેરે હકીકતો આપવી રહી ગઈ. પરિણામે ટિપ્પણ આવશ્યક બન્યું.

આ કવિતાના પ્રવાહોને તપાસવા ઈચ્છનારાઓને કામ લાગે તેવી – અમસ્તી તો જતી કરવા યોગ્ય – કેટલીક માહિતીઓ પણ ટિપ્પણમાં મૂકી છે. એમાં અંગત હકીકતોનો નિર્દેશ છે, એકાદા કાવ્યભાવ માટેનો પણ ઋણસ્વીકાર છે. એમ કરવા જતાં કેટલાંક ઔચિત્યભંગ જો અનિવાર્ય થઈ પડ્યો હોય તો દરગુજર ચાહવુંય નકામું છે.

'યુગવંદના' નામ એ અર્થમાં અપાયું છે કે કોઈ ચિરંજીવી કાવ્યતત્ત્વથી પ્રેરાયેલ નહિ પણ ચાલુ કાળનાં જ બળોએ સ્ફુરાવેલાં સમયજીવી ગીતો આમાં

7